પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪
સરદાર વલ્લભભાઈ

તા. ૧૩-૧૧-’૩ર : સેંકીએ બાપુને અપીલ કરેલી તેને ધધડાવીને જવાબ લખ્યો. વલ્લભભાઈ કહે : “આ મને ગમ્યું.”

બાપુ કહે : “મસાલેદાર હોય ત્યારે તમને ગમે કેમ ?”

તા. ૨૪-૧૧-’૩૨ : આજે રાત્રે મોડે સુધી બેસીને કાગળ લખાવ્યા. વલ્લભભાઈ પણ હવે મંત્રીની પદવીએ ચડ્યા અને ઢગલો કાગળ ઉકેલવામાં મદદ કરવા લાગ્યા. એમને તો પાછું મનગમતું કામ. એમના વિનોદનો ફુવારો તો ચાલતો જ હોય.

એક જણે કાગળમાં લખેલું કે સ્ત્રી કુરૂપ છે એટલે ગમતી નથી. એટલે તરત બાપુને કહેઃ “લખોની કે આંખ ફોડી નાખીને એની સાથે રહે. એટલે કુરૂપ જોવાનું નહીં રહે !”

એક જણે પોતાને ફરી પરણવાનો આગ્રહ કરનારની દલીલ આપી હતી કે એણે મારા ઉપર ઉપકાર કર્યો છે અને એને ત્રણ છોકરી કુંવારી છે. ન્યાતમાં વરની અછત, એટલે મને આગ્રહ કરે છે.

વલ્લભભાઈ કહે : “ત્યારે ત્રણે છોકરીઓને જ પરણી લે તો શું ખોટું ?”



એક જણનો ખુલ્લો પત્ર આવ્યો. તેમાં એણે બિચારાએ છેવટે લખ્યું છે કે તમારા જમાનામાં જીવવાનું દુર્ભાગ્ય મેળવનાર.

બાપુ કહે: “ હે, એને શો જવાબ આપીએ ?”

વલ્લભભાઈ : “કહો કે ઝેર ખા.”

બાપુ : “નહીં' એમ નહીં'. મને ઝેર આપ એમ ન લખાય ?”

વલ્લભભાઈ : “પણ એમાં એનો દહાડો ન વળે. તમને ઝેર આપે એટલે તમે જાઓ અને એને ફાંસીની સજા મળે એટલે એનેય જવાનું. એટલે પાછું તમારી સાથે જ જન્મ લેવાનું કરમમાં ઊભું ને ઊભું રહે. એના કરતાં એ પોતે જ ઝેર ફાકે એ સરસ !”

તા. ૧૪-૧૨-’૩૨ : મેં બાપુને એક ગમ્મત કહી. દેવદાસે એક વાર પૂછ્યું હતું કે, “મતગણતરીમાં બાપુ, વલ્લભભાઈ, તમે, હું અને બા હોઈએ તો આપણે મંદિરપ્રવેશ માટે મત આપી શકીએ કે ?”

બાપુ કહેઃ “વલ્લભભાઈ સિવાય આપણે બધા મતદાર થઈ શકીએ છીએ.”

વલ્લભભાઈ : “તમે કોઈ નહીં પણ હું તો થઈ શકું. કારણ હું તો મંદિરમાં બહુ ગયો છું. તમે તો મંદિરમાં જવાનો દાવો એ ઉ૫રથી કરતા હશો કે યરવડા જેવા મંદિરમાં હંમેશાં આવવાનો ધર્મ કરી મૂક્યો છે, અને બીજાને મોકલો છો.”

તા. ૧૮-૧૨–’૩ર : દેવધર, નટરાજન અને બાપુના સંવાદનો સાર સાંભળીને વલ્લભભાઈ કહેઃ “બહાર જવાનો નુસખો કેમ નહીં સંભળાવ્યો? હું હોત તો સંભળાવી દેત.”

મેં કહ્યું: “શું ?”

વલ્લભભાઈ : “શાસ્ત્રીને કહેવું કે તમે બાપુની જગ્યા લો. દેવધરને કહેવું કે તમે મારી જગ્યાએ આવી જાઓ, અને નટરાજન જમનાલાલજીની જગ્યા