પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૫
યરવડા જેલમાં ગાંધીજીની સાથે

 કરી આપી, અને જોડા સંધાવવાના તે પણ જેલરની રજા લઈને જેલના મોચીખાતામાં સંધાવવાને માટે રાખી લીધા.

વલ્લભભાઈ સાજે કહે : “ભાઈ બધું કરો. ઘરડે ઘડપણ દીકરો આવ્યો છે એટલે ગમે તેટલાં લાડ લડાવો. આપણાથી ન બોલાય.”

તા. ૨-૫-’૩૩ : બાપુ ૨૧ દિવસના ઉપવાસ કરવાના હતા એ બાબતમાં વલ્લભભાઈ ખૂબ ઉદ્વિગ્ન રહેતા.

બાપુ મને પૂછે : “વલ્લભભાઈ હજી મારી સાથે ચિડાયેલા છે ?”

મેં કહ્યું : “ચીડ શાની હોય ? દુઃખ છે.”

બાપુ : “પણ તમે તો કાલે એવો ભાસ આપ્યો હતો કે એમને ક્રોધ છે.”

મેં કહ્યું : “તો મારી ભાષા ખોટી. ક્રોધ હોય જ નહીં. એમની સંમતિ છે એમ ન માનો. એમના દિલમાં તીવ્ર વેદના વ્યાપેલી છે. પણ આપ જીવો કે જાઓ, ગમે તેમ થાઓ, આપની આસપાસ અસંતોષ, કલહ, અપ્રસન્નતાનું વાતાવરણ ન હોય એમ તેઓ ઇચ્છે છે.”

બાપુ: “એ હું સમજું છું. એ તો વલભભાઈ જેવી ભડ વ્યક્તિ પાસે છે એ કાંઈ ઈશ્વરની ઓછી દયા છે? એમનામાં ભારે ઈશ્વરશ્રદ્ધા તો પડેલી જ છે.”

મેં કહ્યું : “મેં તો એમને કાલે કહ્યું કે ઉપવાસ ચાલુ રાખવાને અમે અભાગિયા લાયક નહીંં હોઈએ પણ તમે તો છે જ, અને તમે ચાલુ રાખો તો મને આશ્ચર્ય ન થાય.”

વલ્લભભાઈ આ ઉપવાસને કેવી દૃષ્ટિથી જુએ છે એની ઉપર તેમણે સર પુરુષોત્તમદાસને લખેલો નીચેનો કાગળ બહુ પ્રકાશ પાડે છે :

“બાપુએ આ વખતે લીધેલી પ્રતિજ્ઞામાં કોઈની સલાહ કે સંમતિ લીધી જ નથી. ગઈ વખતની પ્રતિજ્ઞા ધાર્મિક હોવા છતાં એમાં રાજકીય તત્ત્વ સમાયેલું હતું. અને તેટલા પૂરતી મારી સાથે મસલત કરવાની આવશ્યકતા સ્વીકારેલી ખરી. આ વખતે લીધેલી પ્રતિજ્ઞા કેવળ ધાર્મિક હોવાથી એમાં મારી સંમતિનો સવાલ હતો જ નહીં. રાત્રે એક વાગ્યે અમે બધા ઊંઘમાં પડેલા હતા ત્યારે તેમણે પોતાનો નિર્ણય કર્યો અને દોઢ વાગ્યે ઊઠી જે સ્ટેટમેન્ટ પ્રસિદ્ધ થયું છે તે ઘડી કાઢ્યું. સવારના ચાર વાગ્યે અમે ઊઠ્યા પછી મારા હાથમાં મૂક્યું. મેં જોયું કે એમાં ફેરફાર કરવાની જરાય જગ્યા રાખેલી ન હતી. છતાં એ વિશે પૂછીને ખાતરી કરી લીધી. અને જ્યારે જાણી લીધું કે નિર્ણય થઈ ગયેલ છે ત્યારે તે પછી મને ખાતરી થઈ કે મારે માટે ઈશ્વર-ઇચ્છાને આધીન થયા સિવાય બીજો માર્ગ નથી.
“વળી મારી સાથે પ્રથમ મસલત કરી હોત તોપણ એમણે કરવા ધારેલા નિર્ણયમાં હું ફેરફાર કરાવી શકત એમ માનવાને કશું જ કારણ નથી. હા, મારા મનમાંના થોડા ઊભરા જરૂર કાઢી શકત. બાકી આવા કેવળ ધાર્મિક નિર્ણયમાં ફેરફાર કરાવી શકવા જેટલી યોગ્યતા મારામાં નથી.
“આ૫ આવીને શું કરો ? આપ કે હું કોઈ શું કરી શકવાના હતા ? ધાર્યું ધણીનું થાય છે અને થશે. કોઈની ધાર્મિક પ્રતિજ્ઞા તોડાવવાનો