પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦
સરદાર વલ્લભભાઈ
અચકાવું કે ડરવું. બાકી કશાથી ડરવાની જરૂર નથી. ઈશ્વર ઉપર ભરોસો રાખી આનંદમાં દિવસ ગાળવા. સૌ સૌનું નસીબ સૌની પાસે છે.”

ભરૂચ સેવાશ્રમના એક સ્વયંસેવક જે તે વખતે લોકોમાં અને કેટલાક કાર્યકર્તાઓમાં આવી ગયેલી શિથિલતાથી બહુ દુઃખી થતા હતા, તેને તા. ૨૯–૧૨–’૩૩ના રોજ નીચેનો કાગળ લખે છે :

ચિ. રમણિક,
“તારો તા. ૨૬–૧૨–’૩૩નો કાગળ મળ્યો. તને કે વૈકુંઠને અમે (શ્રી ચંદુભાઈ તથા સરદાર) કેવી રીતે ભૂલીએ? એમ જો નાના નાના સાથીઓને ભૂલી જઈએ તો અમે દેશસેવાનાં સ્વપ્નાં સેવી શકીએ નહીં. ચંદુભાઈ તો તમારી સેવા ભૂલી જ ન શકે.
“બહારના દેખાતા અંધકારમાં તમને નિરાશા લાગે છે એ અમે સમજી શકીએ છીએ. પણ સૂર્યાસ્ત પછી સૂર્યોદય અને કાળી રાત્રિ પછી ઉજ્જવળ પ્રાતઃકાળ થાય છે એ નિયમ જગતની ઉત્પત્તિથી ચાલતો આવ્યો છે. અને એમાં ફેરફાર થવાનો નથી. એટલે નિરાશ થવાનું કશું કારણ નથી.
“માણસમાત્ર નબળાઈથી ભરેલા છે. જેને નબળાઈનું ભાન છે તેને કોઈ વખતે ઈશ્વર બળ આપશે. જે પોતાની નબળાઈ નથી સમજતો અથવા પોતાના બળમાં મસ્તાન રહી ગુમાન રાખે છે તે ઠોકર ખાઈ પડે છે. સમર્થ એક ઈશ્વર જ છે એટલે કોઈની અથવા ઘણાંની નબળાઈ જોઈ આપણે ગભરાવાનું કશું કારણ નથી. ઈશ્વર ઇચ્છા એવી જ હશે કે સૌનું ગુમાન ઉતારવું અને દરેકને પોતપોતાનું માપ કેટલું છે તે બતાવી આપવું. એક રીતે જોતાં એ બહુ સારું થયું છે એમ કહીએ તો ખોટું નથી. અંધારામાં કુટાત તો આગળ વસમું પડત. એટલે તમે ગભરાશો નહીંં. તમે પોતે પ્રભુ પાસે બળ માગજો તો કોઈ વખત આપી રહેશે એ એ દયાળુ છે.
“તમે જે ઉત્તમ વાતાવરણમાં સેવા કરવાની મોજ માણેલી છે તેનાં મીઠાં સ્મરણ ન ભુલાય એ હું સમજું છું. પણ હતાશ થવાનું કશું કારણ નથી. વળી પાછો કોઈ દિવસ એવો અથવા એથી ઉત્તમ પ્રાપ્ત થશે. ભવિષ્યના ગર્ભમાં શું ભરેલું છે એ કોઈને ખબર પડતી નથી. પણ એટલી વાત નક્કી છે કે આખરે સત્યનો જય થાય છે અને પ્રભુ ગરીબનો બેલી છે. એટલે આપણે એના ઉપર વિશ્વાસ રાખવો. ચંદુભાઈના તમારા ઉપર હંમેશાં આશીર્વાદ છે જ એમ માનજો. અવારનવાર તમારા ખબર લખશો.
લિ.
વલ્લભભાઈના આશીર્વાદ”
 

ડાહ્યાભાઈ ને તા. ૩૧–૧–’૩૪ના રોજ ફરી પાછું કુટુંબ વિષે લખે છે :

“…ની સાથે તમારે દુઃખી થવાની કશી આવશ્યકતા નથી. ભેળા રહેવામાં કડવાશ થાય અથવા વધે એના કરતાં એને ચોખ્ખું કહી દેવું એ જ સારું. એમાં કંઈ ખોટું દેખાય છે એમ માનવું જ નહીં. એના ભાઈ બાપની સાથે પણ હદ ઉપરાંત ખેંચાઈ જવાય એવું કરવાનું કઈ કારણ નથી. આપણાથી સીધી