પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૧
જેલમાંથી છૂટ્યા પછીનું દોઢ વર્ષ


તેમ કરવું રહ્યું. એમાં મારી ભૂલ થતી હોય તો મને સાફ સાફ વાત કરતાં મુદ્દલ સંકોચ ન કરશો.”

પણ આ બધો વહેમ અને અવિશ્વાસ ઉપર ઉપરનો હતો. એમાં ઊંડે કશું નહોતું. સૌનાં દિલ સાફ હતાં. અંગ્રેજીમાં એક કહેવત છે તેમ ‘ચાના પ્યાલામાં તોફાન’ જેવું હતું. ’૩પનું આખું વરસ તથા ’૩૬ના વરસનો મોટો ભાગ આપણા રાજદ્વારી જીવનની દૃષ્ટિએ મંદીનો વખત હતો. તેમાં તેજી આવતાં અને સૌને પૂરતું કામ મળી રહેતાં બધા નાના નાના કજિયા શમી ગયા. પ્રાંતિક સમિતિનું પ્રમુખપદ સરદાર છોડી દે તો ગાડું ન ચાલે એમ તો એકેએક પહેલેથી માનતા હતા. છતાં નાની નાની વાતોમાં સરદારને કોચવવાનું કારણ ઉપસ્થિત થઈ જતું. વળી બહારનાં કામોનો બોજો પણ એમના ઉપર બહુ વધારે રહેતો. ગુજરાતમાં એમનું રહેવાનું ઓછું બનતું. આવાં આવાં કારણોથી ગુજરાત પ્રાંતિક સમિતિનું પ્રમુખપદ છોડી દેવાનું એમને મન થઈ આવેલું. પણ થોડી જ વારમાં બધું રાગે પડી ગયું અને તેઓએ પ્રમુખપદ ચાલુ રાખ્યું.

૧૯૩૪માં આપણા દેશમાં સમાજવાદી પક્ષની સ્થાપના થઈ. સ્વાભાવિક રીતે જ ગુજરાતમાં પણ જુવાન વર્ગ એ તરફ આકર્ષાયો. એ પક્ષની વિચારસરણી અને કાર્યપદ્ધતિ સાથે સરદાર કદી સંમત થઈ શક્યા નથી. ગુજરાતમાં એ પક્ષમાં જોડાનારામાં પોતાના જ કેટલાક જૂના સાથીઓ અને વિદ્યાપીઠના કેટલાક વિદ્યાર્થીઓ હતા. એમને યોગ્ય ચેતવણી આપવી જોઈએ એમ એમને લાગ્યું. એટલે તા. ર૫–૮–’૩૪ના રોજ એ પક્ષના તે વખતના ગુજરાતના આગેવાન ભાઈ રોહિત મહેતાને લાંબો કાગળ લખી પોતાનું વલણ બરાબર સમજાવ્યું.

“…તમે પંડિત જવાહરલાલની સલાહ કે સંમતિ વિશે જે લખો છો એ બાબતમાં હું કશું જાણતો નથી. જે રીતે સમાજવાદી પક્ષ કામ કરી રહેલ છે એ રીત જવોહુરલાલ પસંદ કરે એ હું બિલકુલ માનતો નથી. મારું માનવું એવું છે કે એ પક્ષ જવાહરલાલના નામનો દુરુપયોગ કરે છે. એ વાત મેં છુપાવી નથી. જાહેર રીતે સંભળાવેલી છે. શ્રી જયપ્રકાશ અને શ્રી મસાણીને પણ આ વાત જણાવેલી છે.

“હું માનું છું કે જવાહરલાલને જો આવો પક્ષ રચવો હોત તો એ કૉંગ્રેસના મંત્રીપદનું રાજીનામું આપત અને વર્કિંગ કમિટીમાંથી નીકળી જાત. જ્યાં સુધી એ હોદ્દો છોડે નહીં ત્યાં સુધી કૉંગ્રેસની ઑફિશિયલ પૉલિસીને જ ટેકો આપે એમ હું માનું છું.
“અમદાવાદ સિટી કૉંગ્રેસ કમિટીનો કબજો સોશયાલિસ્ટો લેવા ઈરાદો રાખે છે એવું મને કહેવામાં આવ્યું ત્યારે હું ચમકેલો ખરો. કારણ એનો અર્થ