પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૩
જેલમાંથી છૂટ્યા પછીનું દોઢ વર્ષ

દર્શાવવા, તેમ જ દિલાસો આપવા અને એ દૂર કરવા માટે મારાથી શું થઈ શકે એમ છે એ જોવાને હું આવ્યો છું. ત્રણ વરસ ઉપર એ જ જગ્યાએ તેમની સાથે થયેલી મુલાકાતનો લાગણીભર્યા શબ્દોમાં ઉલ્લેખ કરીને તેઓ બોલ્યા :

“હું તમને હમેશાં કહેતો હતો કે મારી સાથે પાનાં પાડવાં એ કંઈ ખાવાના ખેલ નથી. તમે જો મારી આગેવાની સ્વીકારો તો તમારે મહા કપરે રસ્તે ચાલવું પડશે. એ રસ્તે તમને મોકલતાં હું અચકાયો નથી. કેમ કે કષ્ટ સહન કરીને જ આપણે કાચમી શાંતિ અને આનંદ મેળવી શકીશું. બલિદાન અને આત્મશુદ્ધિ દ્વારા જ આપણામાં તાકાત આવે એવી મારી શ્રદ્ધા છે. પણ બહાદુર માણસનું સ્વેચ્છાપૂર્વક વેઠેલું કષ્ટ ફળ આપે છે, કાયર માણસનું પરાણે વેઠેલું કષ્ટ નહીં. એમ તો હિંદમાં કરોડો લોકો કષ્ટ સહન કરે છે અને અજ્ઞાનમાં મરણ પામે છે. પણ તેમના એ કષ્ટસહનથી નથી તેમનો એ બોજો હળવો થતો, કે નથી કોઈ બીજાનો. સાચું બલિદાન સ્વાર્થ માટે નહીં, પણ પરમાર્થ માટે હોય છે. એમાં કશો નફાતોટાનો હિસાબ નથી હોતો, તેમ કશા બદલાની આશા નથી હોતી. તેમાં કશી નાસીપાસી કે પસ્તાવાને સ્થાન નથી હતું. હવે તમારી જમીન તથા ઘરબારનો ભોગ આપ્યા ૫છી અંતરમાં તમે એની ઝંખના કર્યા કરશો તો તમારો આત્મભોગ નકામો બની જશે અને એની બધી શક્તિ નાશ પામશે. દુનિયા તમારી દયા ખાશે. પણ તમારા અંતરમાં ત્યાગની ભાવના પેદા થઈ હશે તો તમને થયેલું નુકસાન તમને નિરુત્સાહી કરવાને બદલે ઊંચા ચડાવશે.”

વલસાડથી બારડોલી ગયા. ત્યાં સ્ત્રીપુરુષોનાં ટોળેટોળાં એમનું સ્વાગત કરવાને ઊમટ્યાં અને પહેલાં જેવી મોટી સભાઓ થતી એવી જ મોટી સભા થઈ. લોકોને ઉદ્દેશીને તેમણે કહ્યું :

“જરાયે અતિશયોક્તિ વિના હું કહી શકું છું કે મારા કારાવાસ દરમ્યાન એવો એક પણ દિવસ નથી ગયો જ્યારે મેં તમને ન સંભાર્યા હોય અને તમારી યાતનાઓ અને હાડમારીઓનો વિચાર ન કર્યો હોય. મને કહેવામાં આવ્યું હતું કે તમને પડેલાં દુઃખને લીધે મારા ઉપર તમારી ઇતરાજી થઈ છે, અને મારું કહ્યું માનવા માટે તમને પસ્તાવો થાય છે. આ વાતો મેં કદી ખરી માની નથી. કોઈએ તમારી નાલેશી કરવા આવા ગપગોળા ચલાવ્યા હશે. હજારોની સંખ્યામાં તમને અહીં એકઠાં મળેલાં જોઈને, મારી એ શ્રદ્ધા વધુ દૃઢ થઈ છે કે, પણને શરીરથી, એકબીજાથી ભલે અળગા પાડવામાં આવે પણ જગતની કોઈ પણ સત્તા આપણાં હૃદયોને અળગાં કરી શકનાર નથી. આપણી વચ્ચે બંધાયેલી સ્નેહની ગાંઠ તોડવાની કોઈ સત્તામાં તાકાત નથી.”

બારડોલી તાલુકાના તથા ખેડા જિલ્લાના જે ગામના લોકોએ ઘરબાર અને જમીનો ગુમાવી હતી. તેમને સરદારે એ પાછી લાવી આપવાનાં વચન આ સભાઓમાં ન આપ્યાં. ઊલટું તેમણે તો જણાવ્યું કે,