પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૨
સરદાર વલ્લભભાઈ
મારા કેટલાક મિત્રોને એવું માનવાને મેં કારણ આપ્યું છે કે મારી બેદરકારીથી મેં ગંભીર વિશ્વાસભંગ કર્યો હતો.
“‘૧૯૩૭માં મુંબઈની ધારાસભાના કૉંગ્રેસપક્ષના નેતાની ચુંટણી બાબતમાં હું દિલગીરી સાથે કબૂલ કરું છું કે મેં સામાન્ય વસ્તુસ્થિતિનો ખોટો ખ્યાલ રાખ્યો અને કેટલાક ધારાસભ્યોએ કરેલા નિવેદનોને આધારે મેં માની લીધું કે મને અન્યાય કરવામાં આવ્યો છે. મારા મિત્રોને અને કેટલાંક વર્તમાનપત્રોને એ માન્યતામાં મેં ભેળવ્યાં. એને પરિણામે ખૂબ કડવાશ થઈ અને કેટલાંક વર્તમાનપત્રોએ સરદાર વલ્લભભાઈ ઉપર કોમી દ્વેષભાવનું આરોપણ કર્યું. મેં પહેલાં જાહેરમાં કહ્યું છે અને અત્યારે ફરીથી કહું છું કે આ આરોપ તદ્દન પાયા વિનાનો છે. સરદારે જે કંઈ કર્યું હોય અથવા ન કર્યું હોય તે કર્તવ્યબુદ્ધિથી પ્રેરાઈને જ કર્યું હતું. હું દિલગીર છું કે આ ચળવળે અંગત અને કોમી સ્વરૂપ પકડ્યું અને જે ફરિયાદ સાચી નહીં પણ કલ્પિત હોવાનું માનવાને લોકોને હક છે તે ફરિયાદની બાબતમાં મહાત્મા ગાંધી અને શ્રી બહાદુરજીનો આટલો બધો વખત લેવામાં હું કારણભૂત બન્યો.
આટલું કહ્યા પછી મને લાગે છે કે જે જનતાની આટલાં વર્ષો સુધી સેવા કરવાનો મેં દાવો કર્યો છે તે જનતાને મારે ઇન્સાફ આપવો જોઈએ. મારી ઉપર તેમનો વિશ્વાસ પૂરેપૂરો સ્થાપિત થાય એટલા માટે હું પૂરો વિચાર કરીને જાહેર કરું છું કે મારા હોદ્દાની મુદત પૂરી થયે તે તે જગ્યાઓ માટે હું ફરી ઊભા રહેવાનો ઇરાદો રાખતો નથી. એ હોદ્દાઓ ઉપર રહ્યા વિના કૉંગ્રેસની અને જનતાની સેવા કરવાનો મારો નિશ્ચય છે. જેથી કરીને કડવાશ અને દ્વેષ દૂર થાય અને શાંતિ અને મેળ ફરીથીસ્થાપિત થાય.’”

આટલેથી આ પ્રકરણ પતી ગયું હોત તો એનો બહુ શુભ અંત આવ્યો ગણાત. પણ પાછળથી શ્રી નરીમાને જે વલણ લીધું તે જોતાં લાગે છે કે તેમનો એકરાર ખરા દિલનો ન હતો. એકરાર કર્યા પછી સાત જ દિવસે એટલે તા. ૨૩મી ઑક્ટોબરે શ્રી નરીમાને બૅંગ્લોરથી એક નિવેદન બહાર પાડીને આખી વાતને ફેરવી તોળી. તેઓએ કહ્યું કે,

“માણસ ક્ષણિક ગાંડપણની સ્થિતિમાં આપઘાત પણ કરી બેસે છે. મનની નિરાશા અને અસ્થિર સ્થિતિમાં જ્યારે એને દાદ મેળવવાનો કોઈ આરો રહેતો નથી ત્યારે પોતાના મનની તંગ સ્થિતિ દૂર કરવા તે આવું પગલું લે છે. મારો કેસ પણ માનસિક નિરાશાને વખતે રાજદ્વારી આપઘાત કર્યાનો છે. વિવાદ ચાલુ રાખીને હું મુંબઈના જાહેર જીવનને છિન્નભિન્ન કરી નાખું છું, કોંગ્રેસમાં વિનાશકારી ફાટફૂટ ઊભી કરું છું અને તમામ રાષ્ટ્રીય અને દેશહિતની પ્રવૃત્તિઓ થંભાવી દઉં છું એ આરોપ મારી ઉપર મુકાયો હતો. વધારામાં એમ કહેવામાં આવતું હતું કે આ તકરારનો સંતોષકારક અંત ન આવે ત્યાં સુધી ગાંધીજીની તબિયત ઉપર તેની અસર થયાં જ કરવાની અને તેઓ પૂરેપૂરા સાજા નહીં થવાના.