પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૨
સરદાર વલ્લભભાઈ


કસ્તૂરબાને મળવાની રજા મેળવવા માટે ગાંધીજીના કેટલાક સાથીઓએ તા. ૩જીએ પ્રયાસ કર્યો હતો. તેમને જવાબ મળ્યો હતો કે, “આવતી કાલે ફરી પ્રયત્ન કરી જોજો. ઠાકોરસાહેબને પૂછવું પડે એમ છે.” બીજે દિવસે જરૂરી રજા મળી જવાથી ડૉ. સુશીલા નય્યર તથા બીજા બે જણ બાને મળવા ત્રંબા ગયાં. બાએ ગાંધીજી ઉપર એક હૃદયદ્રાવક કાગળ મોકલ્યો હતો, જેમાં અનશન કરતાં પહેલાં પોતાને વાતસરખી ન કર્યા માટે હળવો ઠપકો આપ્યો હતો. આના જવાબમાં સાથીઓ સાથે ગાંધીજીએ સંદેશ મોકલ્યો હતો કે,

“તું નાહક ચિંતા કરે છે. ઉપવાસ આદરતાં પહેલાં તને કે બીજા કોઈને હું ક્યાંથી વાત કરું ? હું પોતે જ થોડું જાણતો હતો કે અનશન ચાલ્યું આવે છે? ઈશ્વરે સાદ કર્યો ને હું એને અનુસરવા સિવાય બીજું કરી જ શું શકું ? જ્યારે છેલ્લું તેડું આવશે – અને એક દિવસ કયારેક પણ આવશે જ ને ? – ત્યારે પણ તને કે કોઈને પૂછવા થોડું રોકાઈ શકાવાનું છે ?”

આ ઉપરાંત ગાંધીજીએ એક મોઢાનો સંદેશો પણ મોકલ્યો હતો. ઉપવાસ દરમ્યાન મારી સાથે તેને રહેવા દેવાની રાજ્ય પાસે હું આજીજી કરું એમ તું ઇચ્છે છે ? બાએ તત્કાળ જવાબ આપ્યો : “જરાયે નહીં. એ લોકો મને રોજેરોજ તમારી તબિયતના સમાચાર આપે તો મને સંતોષ છે.”

છતાં ગાંધીજીને કસ્તૂરબા વિષે ચિંતા તો રહ્યા જ કરતી. સૌ કોઈનું ધારવું હતું કે અગાઉના ઉપવાસની વેળાએ તેમ આ વખતે પણ સત્તાવાળાઓ ઉપવાસ શરૂ થતાં જ બાને ગાંધીજી પાસે રહેવા મોકલી આપશે. ગાંધીજીએ તા. ૪થીએ પ્રથમ સભ્યને પુછાવેલું કે બાની ખરી કાયદેસર સ્થિતિ શી છે ? શું તે પોતાને સ્વતંત્ર વ્યકિત ગણીને ગમે ત્યાં જઈ આવી શકે ? કે પછી તમે એમને રાજ્યનાં મહેમાન કહો છો, એ રાજ્યના કેદીનું બીજું નામ માત્ર છે ? આનો જવાબ મળ્યો ન હતો. તા. ૫મીએ સવારે ગાંધીજીએ ફરી ચિઠ્ઠી લખીને પૂછ્યું, એનો પણ બપોર લગી જવાબ ન મળ્યો. બપોરે સૌના આશ્ચર્ય વચ્ચે રાજ્યની મોટર રાષ્ટ્રીય શાળામાં આવીને બાને મૂકી ગઈ. પ્રથમ સભ્યે બાને એટલું જ કહેલું કે, “ના. ઠાકોરસાહેબ આપને ગાંધીજીને મળવા મોકલવા માગે છે.” બા કશા સરસામાન વગર આવ્યાં હતાં. પોતાનાં સાથીઓ મણિબહેન અને મૃદુલાબહેન કરતાં પોતાને વિશેષ છૂટ મળે એમ તેઓ ઈચ્છતાં ન હતાં. એટલે ગાંધીજીએ નિર્ણય કર્યો કે બા પાછાં જાય અને ત્રંબામાં પોતાના સાથીઓ જોડે જઈને રહે. એ ત્રણેની કાયદેસરની સ્થિતિ શી છે એ જણાવવા આખા દિવસમાં મળીને પાંચ ચિઠ્ઠીઓ ગાંધીજીએ ખાનસાહેબને લખી. પણ કશો સંતોષકારક ખુલાસો ન મળ્યો. છેવટે લખ્યું કે,