પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫
સબરસ સંગ્રામ

અપાર કષ્ટોનું સાંભળીને કોઈ કોઈ વાર હું કંપી ઊઠું છું. છતાં તેમને માટે હું મગરૂર થાઉંં છું.”

તેમનું પોતાનું ગામ કરમસદ આણંદ તાલુકામાં આવેલું છે. તે ગામ ઉપર મહેસૂલ વસૂલ કરવા પોલીસે એક વાર ધાડ પાડેલી. ત્યારે સરદારનાં એંશી વર્ષના વૃદ્ધ માતુશ્રીને પણ પોલીસની કનડગતનોને લહાવો મળેલો. પોલીસ ઘરમાં પેઠી તે વખતે તેઓ રાંધતાં હતાં. પોલીસે રસોડામાં જઈ ચૂલા ઉપર મૂકેલાં વાસણો ફેંકી દીધાં. ભાતની તપેલીમાં કાંકરા અને કેરોસીન નાખ્યું અને બધું રમણભમણ કરીને નાસી ગયા. ગામના જુવાનિયાએ આ જોઈ ઊકળી તો ખૂબ ઊઠ્યા પણ આ લડત અહિંસક છે એ યાદ કરી તેમણે ખામોશી રાખી.

સરદારે તેમની આ બંને જેલમાં વખતનો કેવો ઉપયોગ કર્યો હતો તે આપણને એ ઉપરથી ખબર પડે છે કે સાબરમતી જેલમાંથી નીકળ્યા ત્યારે નવ રતલ સૂતરનો ઢગલો કાંતી લાવ્યા હતા અને યરવડામાંથી નીકળ્યા ત્યારે આઠ રતલ સૂતર કાંતી લાવ્યા હતા. જેલમાંથી તેઓ બહારની લડતની. લડતમાં પડેલાં ભાઈબહેનોની, પોતાનાં માતુશ્રીની કેવી ચિંતા રાખતા અને મણિબહેનને વખતોવખત કેવી શિખામણ આપતા તે તેમણે મણિબહેન ઉપર લખેલા નીચેના કાગળોમાંથી જણાઈ આવે છે. યરવડા જેલમાંથી તા. ૮-૯-’૩૦ના રોજ લખેલા કાગળમાં તેઓ મણિબહેનને લખે છે :

“તબિયત સંભાળીને ખૂબ કામ કરજે. ખેડા જિલ્લામાં રખડવાનુ રાખજે અને લોકોને હિંમત આપ્યાં કરજે. કોઈને ગભરાવા ન દેવા. માવળંકરને બને તો એક દિવસ મળી આવજે. તેમને મળવા જવાનો દિવસ હોય તેની તપાસ કરી તે દિવસે જવું, એટલે તેમનાં સગાંવહાલાંના દિવસમાં અંતરાય ન આવે. ગયા કાગળમાં ઠીક હકીકત લખી હતી, એમ દર અઠવાડિયે અગર દસબાર દિવસને અંતરે ખબર લખ્યાં કરજે.

“કાશીકાકા ગયા એ પણ ઠીક થયું, થોડો અનુભવ થશે એ પણ સારું જ છે. અને વળી ફરી વખત મળે તો મળી આવજે. એમને કંઈ પૈસાની જરૂર હોય તો કૃષ્ણલાલને મળી મારા ખાનગી ખાતામાંથી મંગાવી આપી શકાય.

“છગનલાલ જોષી ભલે બહાર ફરતા. બહાર ફરનારનું પણ કામ છે. વખત આવ્યે સૌ ઠેકાણે પડશે. સૌની સાથે મીઠાશથી કામ લેવાનો પ્રયત્ન કરો. કોઈ ને બનતાં સુધી માઠું ન લાગે એમ કરવું. આ યજ્ઞમાં સૌ કોઈ વહેલામોડા મને કે કમને પડ્યા વગર રહેવાના નથી. ઉતાવળ કે અધીરાઈથી કામ ન થાય. માટે કોઈને દુ:ખ ન લાગે તેવી રીતે સમજાવી કામ લેવું. તું હાલ ક્યાં રહે છે તે ખબર લખી નથી. હું માની લઉં છું કે દાદુભાઈને ત્યાં જ રહેવાનું રાખ્યું હશે.

લિ.
બાપુના આશીર્વાદ”