પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૭
વ્યક્તિગત સવિનય ભંગ, કોમી રમખાણો અને સરદારની બીમારી

પાડતા. પડદામાંથી તો એવું માલુમ પડે છે કે, આવી મુશ્કેલીમાં આવી પડેલી સત્તા આમ બોલે છે ત્યારે એમાં કાંઈ ઈશ્વરી સંકેતો હોવા જોઇએ. આપણે માટે તો જે પરિણામ આવે તે જ જોવું યોગ્ય છે. આપણે નિરાશ થવાનું નથી. જાગ્રત જ રહેવાનું છે. આ લોકો ના કહે છે તેમાં જ આપણે માટે લાભ હશે.

“હવે કાંઈ આ લાંબુ ચાલવાનું નથી. જે વેગથી વિનાશ ચાલી રહ્યો છે તે વેગથી ચાલ્યાં જ કરશે તો ટૂંક વખતમાં ઉકેલ આવી જવાનો છે. આમાં તો ઘણી પાપી શક્તિઓ હોમાઈ જશે. આ તો દુનિયા પર ભાર ઉતારવા માટે કુદરતી કોપ થયેલ છે. આપણું કામ તો એ છે કે ફરીથી સંકટ ન જ આવે, એવું કરવું જોઈએ.”

તા. ૯-૯-’૪૦ના રોજ અમદાવાદની જાહેર સભામાં ભાષણ આપતાં આ વસ્તુ સરદારે વધુ સ્પષ્ટ કરીને સમજાવી :

“બાર મહિના પહેલાં જ્યારે આ લડાઈ શરૂ થઈ ત્યારે હિન્દને લડાઈમાં સંડોવવામાં આવ્યું. ન તો એ બાબત કોઈને પૂછ્યું, ન રાજાઓને પૂછ્યું, ન મુસ્લિમોને પૂછ્યું, ન પ્રજાના કોઈ પક્ષને કે પ્રતિનિધિને પૂછ્યું. કૉંગ્રેસે તેનો વિરોધ કર્યો. જ્યારે હિન્દનું લશ્કર હિન્દની બહાર મોકલવામાં આવ્યું ત્યારે તેનો વિરોધ કરવા વડી ધારાસભામાંથી કૉંગ્રેસના પ્રતિનિધિઓને પાછા ખેંચી લેવામાં આવ્યા. એ અમે જાણીએ છીએ કે જેની સામે તમારો વિરોધ છે તેની સામે અમારો પણ વિરોધ છે. પણ આ લડાઈમાં તમે શા માટે ઊતર્યા છો તેનો સ્પષ્ટ હેતુ અમને સાફ સાફ સમજાવો તો અમે બન્ને ભૂતકાળ ભૂલી જઈને પણ તમને મદદ કરવા તૈયાર છીએ. અમને પૂછ્યાગાછ્યા વિના લડાઈમાં ફેંક્યા છે તેમ છતાં અમે તમને સાથ આપીએ, જો અમને એ સમજ પાડવામાં આવે કે લડાઈ પછી તમે હિન્દનું કંઈક હિત કરવા ધાર્યું છે. આપણી આ માગણીને સરકાર તરફથી ટાળવાનો પ્રયત્ન થયો.
“ખરી વાત એ છે કે આ લડાઈ એકલા યુરોપની નવરચના કરવા માટે નથી, એશિયા અને આફ્રિકાના કાળા લોકોની વહેંચણી કઈ રીતે કરવી અને તેમના પરનું રાજ્ય કેવી રીતે મજબૂત કરવું, તેને માટે છે. લડાઈનો આ હેતુ સ્પષ્ટ અને સાફ છે.
“બ્રિટન કહે છે કે નાના નાના મુલકોની સ્વતંત્રતા રક્ષવાની ખાતર અમે આ યુદ્ધ લઈ બેઠા છીએ. ત્યારે અમેરિકા અને જગતના બીજા દેશોમાં પુછાતું હતું કે, હિન્દની સ્વતંત્રતાનું શું ? જગતભરના દેશોમાં જ્યારે આ પ્રચાર થવા માંડ્યો ત્યારે આ લોકોએ જુદો પેંતરો રચ્યો. હિન્દના પ્રતિનિધિઓને સલ્તનતના પ્રતિનિધિએ બોલાવ્યા ને કહ્યું: ‘અમે સ્વતંત્રતા આપી દેવા માગીએ છીએ. હિન્દ એ તો અમારે ગળે બંધાયેલું ઘંટીનું પડ છે. પણ શું કરીએ ? હિન્દ હજી સ્વતંત્રતાને લાયક નથી. એને સ્વતંત્રતા આપીએ તો હિન્દમાં ઠેર ઠેર ખુનામરકી, લૂંટફાટ, મારામારી, વગેરે અંધાધૂંધી ફાટી નીકળે, કોઈ કોમ સલામત ન રહે. આમ ન થવા દેવાની અમારી નૈતિક જવાબદારી છે.’ આ જાતનો