ઈને’ય રાખ્યો.
સાંજ પડી ને સઉને ઘરે જવાની વેળા થઈ.
સાથી કહે : “આતા ! આમને ચ્યમ જાર ભરી આલું ?”
“ભેરૂ ! સંધાને આવ્યા’તા ઈમ હાર્યમાં ઉભા રાખ્ય, ને છેલ્લાને પહેલો ગણીને માંડ્ય આલવા ઈમની દા’ડી, પાલી જાર એકોએકને.”
ઓલ્યાય માંડ્યા ગણગણવા.
“આતા ! દન બધો અમે ટૂટી મૂવા, આવડા આ પો’ર ચડ્યે આવ્યા’તા, ને આ બીજાય બપોર ને બપોર પછે આવ્યા. આ તો હજી હમણે તીજે પો’ર દન નમ્યે આવ્યો, ઇનેય પાલી !”
“બાપલાવ ! ઈમાં તમને અનિયા૧[૧] શો થ્યો ? તમારી દા’ડી પાલી જારની છે ને ? અધવાલી૨[૨] આલું છું તમને ?
“તાણે લ્યો તમ તમારે તમારી પાલી. લ્યો હલાવી ઠાંસીને લ્યો, શગોશગ૩[૩] ને ખળખળતી; ને થાવ ઘરભેળા,”
“આ બચાડાને કામ નો મળ્યું ને મોડા વળવ્યા તીનેય તમ જેવાં જ પેટ છે. ઈમને ઘરેય તમ જેવાં જ છોરૂ-વાછરૂ છે.”
“એટલે હું હૈયે રામ રાખીને આલેશ. સંધાયને૪[૪] સરખું આલેશ. આવો આ છેલ્લો આવ્યો તીનેય પાલી જાર જ આલેશ; ઠાંસી હલાવી-, શગોશગ ને ખળખળતી.
“ઈમ સાજનો ! તમેચ રામજીના ખેડુનો નિયા૫[૫] વરતો.”
[ મથા પીર (સેન્ટ મેથ્યુસ) રચિત ઈશુ ભાગવત (ગૉસ્પેલ)ને આધારે ]
આ વાર્તા પરથી સમજાય છે કે સમાજનો જે છેલ્લામાં છેલ્લો, પછાતમાં પછાત, દીનમાં દીન હોય તેનો ઉદય કર્યા વિના સર્વોદય સાધી શકાતો નથી. કાકાસાહેબના શબ્દમાં કહીએ તો અન્ત્યોદય વિના સર્વોદય સિદ્ધ થઈ શકતો નથી. તેથી ‘અન-ટુ ધિસ લાસ્ટ.’ એ શબ્દપ્રયોગ બહુ સાર્થ છે. પણ સર્વોદયની ભાવના તેથી વધુ વ્યાપક છે, ગાંધીજીની ફિલસૂફીમાં સત્યાગ્રહનું સ્થાન જેટલું મહત્ત્વનું છે તેટલું જ મહત્ત્વનું સ્થાન સર્વોદયનું છે. તેઓ કેવળ એ વિચારો દુનિયાને ભેટ આપીને થંભ્યા નથી, પણ તે તેનો યથાશક્તિ અમલ