પોતાની કૃતિમાં મૂળની છાયા માત્ર લીધી છે. ચાર્લ્સ ડિકન્સના પ્રખ્યાત ‘પિકવિક પેપર્સ’ નું ભાષાન્તર પણ નામ બદલાઈને થયું છે. મી. મર્ઝબાનનું ‘મબ્રુક લુંટારો’ એ એક બહુ વંચાયલું પુસ્તક છે. પ્રતિકૃતિ સંબંધી બોલતાં મર્હૂમ કે. ન. કાબરાજી અને બ. ન. કાબરાજીનાં નામો ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં નોંધવા યોગ્ય છે. એ બન્ને ગૃહસ્થોએ ઘણી અને તેમાંએ–મીસીસ હેન્રી વુડની–નવલકથાઓની પ્રતિકૃતિયો કરી છે. તેમની ‘ગુલી ગરીબ,’ ‘ભીખો ભરભરીઓ,’ ‘ભોલો દોલે,’ ‘વેચાયેલો વર,’ શિરિનનાં સંકટ,’ ‘ધિરજનું ધન,’ ‘દેલજંગ દિલેર,’ ‘દીની ડાહી,’ અને ‘કાવલાની કહાણી,’ વગેરે સંખ્યાબંધ વાર્ત્તાઓ બહાર પડી છે. આ પુસ્તકોમાં ઇંગ્રેજ પાત્રોને બદલે પારસી પાત્રો આવ્યાં છે. બીજો ફેરફાર સહજ અને નજીવો છે. ખરા પારસી સંસારનાં ચિત્ર ન હોતાં માત્ર નામફેરથી ઇંગ્રેજી સંસારચિત્ર જ હોવાથી ઘણી કૃત્રિમતા જણાઈ આવે છે. વાર્ત્તામાંથી મળતા બોધનો લાભ ખરચાળા જીવનવૈભવની તૃષ્ણા ઉત્પન્ન થવાથી ગૌણ થઈ જાય છે. ભાષા, શૈલી, વગેરે વખાણવા લાયક નથી. સ્વાભાવિક નવી કલ્પનાનો ઉદ્ભવ પણ ન હોતાં માત્ર તેના કથા ભાગને લીધેજ મૂળ વાર્ત્તા રસિલી હોય અથવા ન હોય તેના પ્રમાણમાં વંચાય છે અને વખણાય છે. પારસી પાત્રો યુરોપિયન સંસાર ચલાવતાં હોય એમ દેખાય છે. આવાં આવાં પુસ્તકોનાં ઘણાં વાંચનથી વાંચનારની અભિરૂચી પણ એવી થઈ જાય છે અને એવાં વાંચનની માગણી જારી રહે છે. આ માગણીની તૃપ્તિ થાય એટલી ઝડપથી આવા લખનારાઓ આવું સાહિત્ય પૂરૂં પાડે છે. આમ દિવસાનુદિવસ આ જાતનું સાહિત્ય વધતું જાય છે.
ઇંગ્લંડમાં સુશિક્ષિત વર્ગમાં રેનલ્ડની નવલ–કથાઓ વંચાતી નથી, તેમજ પ્રતિષ્ટીત પુસ્તક વેચનારાને ત્યાં મળતીએ નથી. રસિલી ભાષા, વિષયોત્તેજક ચિત્રવર્ણન, અને પાત્રતા જાળવવાની વિચિક્ષણ કળાને લીધે રેનડ જાણીતો છે. અમે અગાઉ એક વખત કહી ગયા છઈએ તેમ એની કથાઓના વાંચનથી લાભ કરતાં ગેરલાભ વધારે થાય છે. એ શોચનીય છે