અમે કહી ગયા છઈએ કે એક કાળ એવો હતો કે જ્યારે ગુજરાતી ગ્રંથો બિલકુલ નહોતા. ત્યારબાદ પ્રથમ શાળોપયોગી પુસ્તકો પ્રગટ થયાં. પ્રારંભ શાળોપયોગી પુસ્તકોથી થએલો હોવાથી અમે પણ એ જાતનાં પુસ્તકોની નોંધ પ્રથમ લઇશું. બેશક તેમ કરતાં છેક સાઠીના અન્તસમયનાં પણ તે જાતનાં પુસ્તકોને માટે વિવેચન કરવું પડશેજ.
શાળોપયોગી પુસ્તકો પ્રગટ થયા પછી સાંખુ રાખેલી જમીનમાં રોપેલાં બીની પેઠે એકદમ ફણગા ફુટી નીકળી સ્વ. એ. કે. ફોર્બ્સ અને બીજા ગૃહસ્થોના પરિશ્રમને બહોળો ફાલ આવ્યો. એક કાળ એવો હતો કે જે વખતે બીજી ભાષાઓમાં પ્રગટ થયેલાં પુસ્તકોના અનુવાદ–ભાષાન્તરો–કરવાનો વા ચાલ્યો હતો એવી સૂચના અમે કરી ગયા છઈએ. હવે આ સાઠીમાં પ્રગટ થએલાં પુસ્તકોનો સમગ્ર હુંડો લેતાં પણ એ પવન હજુએ ચાલે છે એમ અમારે કહેવું પડે છે.
આ સાઠીમાં આપણી માતૃભાષામાં પ્રગટ થયેલાં પુસ્તકોને ત્રણ વર્ગમાં વહેંચી શકાય. ૧ ગુજરાતીના જૂના ગ્રંથો આ કાળમાં છપાયા હોય એ, ૨ ભાષાન્તરો અને ૩ નવા લખાએલા મૂળ ગ્રંથો. આમ કરવાથી દરેક જાતના ગ્રંથો કેટલા કેટલા વધ્યા તેમજ નવા મૂળ ગ્રંથો થઈને ભાષાની સમૃદ્ધિ કેટલી વધી તે સહજ જાણી શકાય. અમે બનતાં સુધી આ ગોઠવણ ખાસ ધ્યાનમાં રાખીશું.
લેખનકળા—નવો ખરડો નામે બાળબોધ–દેવનાગરી–અને ગુજરાતી કોપીની ચોપડી નિશાળોમાં વપરાતી હતી. સન ૧૮૭૧ માં એની બીજી આવૃત્તિ થઇ હતી. સન ૧૮૭૯ માં ધોરણવાર શિખવાય એવા લેખનકળાના નમુના સુરતમાં તયાર થઇ તે પણ શાળાઓમાં ચાલ્યા હતા. મી. આદરજીના