ચેતાવ્યા. ઘણા દિવસ વિચારો કર્યા પછી એક દિવસ આકાશને ઉંબરે ઉષા અને અરુણ જે વેળા પહેલવહેલા સાથિયા પૂરતાં હતાં તે વેળા ઊઠીને શામળ ફરવા નીકળી પડ્યો.
એનાં સાહસોની આ તમામ ઘૂમાઘૂમ વચ્ચે વિનોદિની પ્રત્યેના પ્રેમાવેશના તાંતણા નિરંતર વણાયે જ ગયા હતા. એના અંતઃકરણમાં બીજાં તમામ તોફાનો વચ્ચે પણ પ્રીતિનું પારેવું ઘૂઘવતું ઘૂઘવતું માળો નાખી રહ્યું હતું. શામળને કશી જ સમજ નહોતી પડતી કે આ ઉકળાટ શી રીતે શમાવવો. અગાઉ એણે કદી પણ કોઈ સ્ત્રીને સ્પર્શ કર્યો નહોતો. પણ એક વાર એ સ્પર્શ થતાં જ અરણીના કાષ્ઠના ઘર્ષણમાંથી જાગે તેવી જ્વાળા જાગી ઊઠી હતી. સૂતેલી લાગણીઓ સળવળી રહી હતી; પ્રાણનાં અતલ ઊંડાં પડો વચ્ચેથી અણધાર્યા ધસી આવતા ધોધમાં એ ખેંચાયે જતો હતો. તલસાટ અને ગભરાટનો એ ભોગ બન્યો હતો. ઘડી ઘડી ઉન્માદની લહરીઓ ચડે છે. ચકચૂર કોઈ નાવિકની નૌકા જાણે સુખના હીંચોળા ખાય છે, ને વળતી જ ક્ષણે પાછી જાણે એ હોડી ગમગીનીના ઊંડા ગર્તમાં ગરક બને છે. વિનોદિનીને મળવાના તલસાટ રોક્યા રોકાતા નથી, પણ એનો રસ્તો રૂંધીને લજ્જા ઊભી છે, જાહેર જીવનનો સંગ્રામ ઊભો છે. આ બધી રિબામણી શાને માટે ? નથી સમજાતું.
જો માત્ર પ્રેમમાં પડવા પૂરતો જ આ મામલો હોત તો તો બસ હતું; બે કિનારા વચ્ચે થઈને એ પ્રવાહ વહ્યા કરત. પરંતુ આ તો હતી વિનોદિની સમી વ્યક્તિની પ્રેમપ્રાપ્તિ; જેનો જોટો ન મળે, જેની જ્વાળા ન ઝિલાય, જેની કલ્પના કરતાં પણ તમ્મર આવે. એવી એક સુંદરીના અનુરાગમાં રંગાવું એટલે શું ! એ પ્રચંડ પૂર પાળો ભેદતું ચાલ્યું છે. જીવન મૂર્છિત બની પડ્યું છે.
સડક ઉપર ત્રણચાર કલાક ટહેલ્યા કરીને પછી અગિયાર વાગ્યે એ પોતાની સ્નેહ-રાણી પાસે પહોંચ્યો. ઉત્સુકતા અને કુતૂહલથી ઝલક મારતે મોંએ એ આવી પહોંચી. મરક મરક થાતે મુખડે એણે કહ્યું : “કાં,