તેનું સ્વરૂપ વધારે આકર્ષક બની ગયું હતું. મનને સંતોષ મળે તો વધારે સ્થિરતાથી કામ ન થાય ?
આવા આવા વિચારો અને પૂર્વસ્મરણોની જાળમાં ગૂંચવાયલા પરાશરને મનઃસંતોષની ભાવનાએ એકદમ સાવધ બનાવ્યો. તે પોતાની સાદડી ઉપર બેઠો થઈ ગયો. કુમાર શાંત હતો; પરાશરનું માનસ શાંત ન હતું. ટમટમ થતા ફાનસની જ્યોતે ઓરડીને પણ નવાનવા રંગો આપ્યા. એના મનની ખોલી પણ અત્યારે ચિત્રવિચિત્ર રંગોથી રંગાઈ ગઈ હતી. તેનાથી બેઠાં પણ ન રહેવાયું; તેણે ઊઠી ચાલીની લાંબી ઓસરીમાં પગ મૂક્યો. ચારે પાસ સૂનકાર વ્યાપી રહ્યો હતો. આ શૂન્યમાં સૃષ્ટિ ધબકી રહી હતી. તંદ્રામાં-નિંદ્રામાં પણ સૃષ્ટિના ધબકાર સંભળાતા હતા; કદાચ તેના હૃદયના જ એ થડકાર હતા. શૂન્યમાંથી સૃષ્ટિ નિપજાવવી જૂની આર્ય ફિલસૂફીના પડઘા હજી પરાશર જેવાના સુધરેલા માનસમાં પણ પડી જતા હતા, અને કોઈનો સ્પર્શ થતાં ખરે એનું હૃદય શૂન્યમાં પણ વેગ ધારણ કરી કહ્યું !
‘ઊંઘ નથી આવતી ?' પરાશરે ધીમો સ્ત્રીઅવાજ સાંભળ્યો.
‘રતન’ ! તુંયે જાગે છે ?' પરાશરે સ્ત્રીનો કંઠ પારખી પૂછ્યું.
‘હા, મને લાગ્યું કે તમે જાગતા જ હશો.'
‘શાથી એમ થયું ?’
‘કોણ જાણે. અને હું ધારતી પણ હતી કે તમે બહાર આવશો.'
‘તું મને આ ચાલીમાંથી કઢાવી મૂકવાની છે ?’
‘કેમ ?’
‘કોણ જાણે ! પણ...'
‘આપણને ભેળાં જુએ એથી વાત થાય, એમ ને ?’
'હા.'
‘આવો, કોણ કોની સાથે પડ્યું છે તે હું અબઘડી બતાવું. આપણી વાત કરતાં પહેલાં એ પોતાની જાત તરફ તો જોશે ને ?'
‘જેને જે ઠીક લાગે તે કરે. આપણે જોઈને શું કામ છે ?’
‘પણ મને એમ થાય છે કે તમે આમ વખાના માર્યા ફરો છો એના કરતાં તમારી વહુને સાથે રાખો તો કેવું ?’ રતને પૂછ્યું.
રતન શું પરાશરનું માનસ વાંચતી હતી - એ અભણ અસંસ્કારી મજૂરણ ?
'તને કોણે કહ્યું કે હું પરણેલો છું ?’