પૃષ્ઠ:Shobhana.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮: શોભના
 

થરથરવાનું મન થયું. નાનપણમાં ગોખેલું ગીતાવાક્ય તેને યાદ આવ્યું :

क्षुद्र हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परंतप ।

હિંદના ઘડતરમાં જ આ ધર્મધેલછાની મેળવણી થઈ છે. ભગત બનવું એ જ જાણે ઉદ્ધારનો માર્ગ હોય એમ માનીને ચાલનાર હિંદનો છેલ્લો અગ્રણી ગાંધી પણ પ્રાર્થનાભોગી ! કે પ્રાર્થનાનો ભોગ ?

ગીતા ક્યારે ભુલાશે ? ઈશ્વર ક્યારે આ હિંદને પોતાની ચૂડમાંથી મુક્ત કરશે ? ખોટી વિચારશ્રેણીમાંથી નાસ્તિકો પણ હજી પૂરા છૂટ્યા નથી. નહિ તો પરાશરને શા માટે ગીતાનું ભૂલવા સર્જાયલું વાક્ય યાદ આવે ?

ભાસ્કરનો બંગલો અને ગીતાની ધર્મધેલછા નિદ્રાની એક છોળમાં ડૂબી ગયાં. શાસ્ત્રીય રીતે પૂરેપૂરી સમજાવી શકાતી નિદ્રાક્રિયાએ તેને શૂન્યમાં ઉતાર્યો. ઈશ્વર વગરની દુનિયામાંથી એક તત્ત્વે તો તેના જ્ઞાનતંતુઓને ટાઢા પાડ્યા.

પરંતુ તે ન સમજાય એવા કોઈ ઉગ્ર સ્વપ્નના ભારણ સાથે જાગ્યો. પરાશરને થોડી વાર સુધી તો એમ લાગ્યું કે એનું સ્વપ્ન હજી ચાલ્યા જ કરે છે. બહારના ભાગમાં બૂમાબૂમ, ગાળાગાળી અને મારામારી થતી હોય એમ લાગ્યું. મચ્છરદાની ઊંચકી તે બહાર નીકળી આવ્યો.

બાળકો, સ્ત્રીઓ અને પુરુષોનું ટોળું ભેગું થયું હતું. તેની વચમાં ત્રણ પઠાણો, ડાંગ અને ચપ્પુને આગળ ધરતા, એક પુરુષને પકડી ઊભા હતા. પકડાયેલો પુરુષ મજબૂત લાગતો હતો; પરંતુ પઠાણો આગળ લાચાર બની ઊભો રહ્યો હતો. સ્ત્રીઓ અને બાળકો ચીસો પાડતાં કકળતાં ઊભાં હતાં. ભેગા થયેલા પુરુષો ઊભા રહીને તેમના જ એક સાથીદારની દુર્ઘટના થતી જોતા હતા.

પકડેલા મજૂરને એક પઠાણે જબરજસ્ત ધોલ લગાવી દીધી. તેની આંખમાં ઝનૂન ચમકી ઊઠ્યું. પરંતુ તે સામો થાય એ પહેલાં બીજા પઠાણે તેની કમરમાં ડાંગનો ફટકો લગાવ્યો. ડાંગ મારનારે દયાથી ફટકો લગાવ્યો ન હતો. એટલે મજૂર કળ ખાઈ નીચે બેસી ગયો; તેની આંખનું ઝનૂન અદૃશ્ય થયું. દુઃખની તીવ્ર લાગણી અનુભવતા આ માનવીને ત્રીજા પઠાણે લાત લગાવી દીધી.

‘ચાલ પૈસા કાઢ ! તારાં બેરી - છોકરાં ક્યાં છે ?' લાત મારી જમીન ઉપર મજૂરને ગબડાવી પાડતા પઠાણે કહ્યું.

પરાશર વચમાં આવ્યો અને ધમકાવીને પૂછવા લાગ્યો :

‘કેમ મારો છો, આને ?’