રાજાએ વાનર તરફ પોતાનું તીર તાક્યું. ત્યાં તો એ વાનર નીચે પડ્યો-વગર તીરે જાણે એ વીંધાઈ ગયો હતો. નીચે પડીને બે પળ એ તરફડ્યો. પછી બેઠો થઈ બે પગે અને બે હાથે ચાલતો મહારાજા પાસે આવ્યો.
મહારાજ સિદ્ધરાજ મરદ માનવી હતા. બીજો માણસ હોય તો ભૂતપ્રેતનાં ચરિતર માની જીવ લઈને ભાગે. પણ આ તો સિદ્ધરાજ ! ભૂતનોય દાદો ! એની મહાન માતાએ એને કદી કોઈથી ડરતાં શીખવેલું નહિ! ડરવું અને મરવું બેય બરાબર !
રાજાએ ધનુષ-બાણ ખભે ભરાવી, કમર પરની તલવારની દોરી ઢીલી કરી બૂમ પાડી :
'કોણ છે તું? બોલ, નહિ તો આ તારી સગી નહિ થાય !'
'માણસ છું.' પેલો નર-વાનર બોલ્યો
'માણસ હોય કે માણસનું મડું, પણ ત્યાં ઊભો રહી જા ! જાણી લે કે હું બર્બરકજિષ્ણુ સિદ્ધરાજ જયસિંહ છું.'
પેલો નર-વાનર ત્યાં થંભી ગયો, ને પછી ઊભો થયો.
સિદ્ધરાજે જોયું કે એ ખરેખર માણસ હતો. એણે કમર પર લૂંગી વીંટી હતી ! માથે એક કપડું બાંધ્યું હતું. એને નાની-નાની દાઢી હતી.
સિદ્ધરાજે પૂછ્યું : 'ક્યાંનો છે તું?'
'ખંભાતનો છું, હજૂર !'
'તો તો મારી પ્રજા છે. જાતનો મુસલમાન લાગે છે.' સિદ્ધરાજને પોતાની પ્રજા લાગતાં જરા લાગણીથી પૂછ્યું.
'હા, જહાંપનાહ !' એ માણસે ક્લબલી ભાષામાં જવાબ આપ્યો.
‘તારું નામ શું ?'
‘કુતુબઅલી.'
'ખંભાતમાં શું કરે છે ?'
'મસ્જિદનો ખતીબ (ઉપદેશક) છું.'
'અહીં શા માટે આવ્યો હતો ?'