પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રાજાએ વાનર તરફ પોતાનું તીર તાક્યું. ત્યાં તો એ વાનર નીચે પડ્યો-વગર તીરે જાણે એ વીંધાઈ ગયો હતો. નીચે પડીને બે પળ એ તરફડ્યો. પછી બેઠો થઈ બે પગે અને બે હાથે ચાલતો મહારાજા પાસે આવ્યો.

મહારાજ સિદ્ધરાજ મરદ માનવી હતા. બીજો માણસ હોય તો ભૂતપ્રેતનાં ચરિતર માની જીવ લઈને ભાગે. પણ આ તો સિદ્ધરાજ ! ભૂતનોય દાદો ! એની મહાન માતાએ એને કદી કોઈથી ડરતાં શીખવેલું નહિ! ડરવું અને મરવું બેય બરાબર !

રાજાએ ધનુષ-બાણ ખભે ભરાવી, કમર પરની તલવારની દોરી ઢીલી કરી બૂમ પાડી :

'કોણ છે તું? બોલ, નહિ તો આ તારી સગી નહિ થાય !'

'માણસ છું.' પેલો નર-વાનર બોલ્યો

'માણસ હોય કે માણસનું મડું, પણ ત્યાં ઊભો રહી જા ! જાણી લે કે હું બર્બરકજિષ્ણુ સિદ્ધરાજ જયસિંહ છું.'

પેલો નર-વાનર ત્યાં થંભી ગયો, ને પછી ઊભો થયો.

સિદ્ધરાજે જોયું કે એ ખરેખર માણસ હતો. એણે કમર પર લૂંગી વીંટી હતી ! માથે એક કપડું બાંધ્યું હતું. એને નાની-નાની દાઢી હતી.

સિદ્ધરાજે પૂછ્યું : 'ક્યાંનો છે તું?'

'ખંભાતનો છું, હજૂર !'

'તો તો મારી પ્રજા છે. જાતનો મુસલમાન લાગે છે.' સિદ્ધરાજને પોતાની પ્રજા લાગતાં જરા લાગણીથી પૂછ્યું.

'હા, જહાંપનાહ !' એ માણસે ક્લબલી ભાષામાં જવાબ આપ્યો.

‘તારું નામ શું ?'

‘કુતુબઅલી.'

'ખંભાતમાં શું કરે છે ?'

'મસ્જિદનો ખતીબ (ઉપદેશક) છું.'

'અહીં શા માટે આવ્યો હતો ?'

ખંભાતનો કુતુબઅલી ᠅ ૧૨૭