દેસલ-વિસલ કબૂલ થયા. તેઓએ છૂપો માર્ગ બતાવ્યો ને પાટણની સેના ગિરનાર પર ચઢી.
ખાનગી દરવાજો તોડ્યો ને શહેરમાં પ્રવેશ કર્યો !
રડીબામ ! રડીબામ ! બૂંગિયો ગાજ્યો.
સોરઠી યોદ્ધાઓ આવી પહોંચ્યા. ભારે યુદ્ધ થયું. પણ ઘર ફૂટ્યે ઘર જાય. વિજય સિદ્ધરાજનો થયો.
રા'ખેંગાર હાર્યો અને કેદ પકડાયો.
'રાજા દેવનો અંશ છે. એ શત્રુ થઈને પકડાય તો પણ એની હત્યા ન કરવી.'-પાટણના રાજાઓનો આ નિયમ હતો.
રા'ખેંગાર અને ગુજરાતી રાણીને કેદ કર્યા.
મંત્રી સજ્જન મહેતાને સોરઠના સૂબા નીમ્યા, ને પોતે પાટણ તરફ કૂચ કરી !
પાટણમાં એ દહાડે ભવ્ય વિજયોત્સવ ઊજવાયો. સોરઠ અને પાટણ એક થયાં હતાં, એક કરવાં હતાં. સિદ્ધરાજને વિજયનો લોભ નહોતો, રાજવિસ્તારનો મોહ હતો.
સોરઠના રાજા ખેંગારની સિદ્ધરાજે મીઠી મહેમાનગતિ કરી. હાથી પર બેસાડીને આખું પાટણ બતાવ્યું. પોતાના વડવાઓની વાતો કરી. માતા મીનલદેવીની મુલાકાત કરાવી. આખરે ત્રણ વાર 'ગુર્જરપતિની જે' બોલાવી છોડી દીધો.
ખેંગાર જૂનાગઢ જવા નીકળ્યો.
એ પણ વટનો ટુકડો હતો. આ હારથી એને હાડોહાડ લાગી ગયું હતું : ન ખાવું ભાવે, ન પીવું ભાવે.
વઢવાણ આવતાં એ માંદો પડ્યો, ને એકાએક ગુજરી ગયો. સિંહ અને શૂરવીર અપમાન વેઠીને જીવતા નથી.
રાણક સાથે હતી. એ વઢવાણના પાદરમાં રા'નું માથું ખોળામાં લઈને, એ