પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦
સોરઠી બહારવટીયા : ૨
 

છે. માણસોએ ચીસ પાડી “જોધા ભા, અમને બચાવો. આથી તો મરાઠા શું ભુંડા હતા ?”

પીંડારીયા જોધાને ભાળીને નીચું ઘાલી ગયા. જોધાએ કહ્યું:

“તમારા મોઢાં કાળાં કરો. માનું દૂધ લજાવ્યું ભા ! તમે રજપૂતનાં ફરજંદ છો ?”

એકેએક પીંડારીયાને ચોકી પરથી બરતરફ કરી બેટનો કિનારો છોડવા હુકમ દઈ દીધો. અને જોધાએ ન્યાયની અદાલત ભરી. પૂછવામાં આવ્યું “કોના ઉપર જુલમ થયો છે ભાઇ ?”

“મંદિરવાળા ભંડારી હરિમલ ઉપર.”

“શું થયું ? ”

“એને ઝાલીને અભડાવ્યા ”

“કોણે પાપીએ ?”

“રણમલ પીંડારે.”

“શા સારૂ ?”

“દંડ લેવા સારૂ.”

“બોલાવો રણમલને. ન આવે તો રસીથી બાંધીને લાવજો.”

રણમલને તેડી હાજર કરવામાં આવ્યો. જોધા માણેકે રણમલ તરફ પીઠ ફેરવી અને વચનો કહ્યાં:

“આટલા સારૂ હું પીંડારીયાઓને તેડી લાવ્યો'તો ખરૂં ને રણમલ ! જા, તુંને તે ગોળીએ દેવો જોઈએ, પણ હવે ભાગી છૂટ. ભંડારીજી કયાં છે ભાઈઓ ? ”

“જાંબુવંતીજીના મંદિરમાં સંતાણા છે.”

“હાલો મંદિરે.”

મંદિરે જઈને જોધા માણેકે ભંડારીની માફી માગી. અને એવો ઠરાવ કર્યો કે દર મહિને અક્કેક મંદિરવાળાએ વાઘેરોની ચોકીનો ખર્ચ ચુકવવો.