પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોધો માણેક : મૂળુ માણેક
૧૭૯
 


વાત કરનાર મકરાણી અભરામે કહ્યું કે “બાપુ ! હું યે ઈ નવસો જણાની ગીસ્તમાં હતો. ભાગવાનું વેળુ ન રહેવાથી હું ઝાડવાની ઓથે સંતાઈ ગયો'તો. સંતાઈને મેં આ આખો ય કિસ્સો નજરોનજર દીઠો'તો. જેવું જોયું છે તેવું જ કહું છું.”

૨૮

ડુંગરની ભેખ ઉપર માથું ઢાળીને મૂળુ માણેક બેઠો છે. રોઈ રોઈને આંખો ઘોલર મરચાં જેવી રાતી થઈ ગઈ છે. પડખે બેઠેલા માણસો એને દિલાસો આપવા લાગ્યા:

“મુરૂભા ! છાતી થર રાખો. હવે કાંઈ મુવેલો દેવોભા પાછો થોડો આવે તેમ છે ?”

“બેલી ! ભાઈ મૂવો તે કારણે નથી હું રોતો. એવા સાત ભાઈને પણ રણછોડરાયના નામ માથે ઘોળ્યા કરૂં, પણ દેવો તો અમારા કુળને બોળીને મુવો.”

થોડીવાર બહારવટીયો છાનો રહ્યો. પછી બોલ્યો “મારી મનની મનમાં રહી ગઈ. દેવાના કટકા મારાથી થઈ શક્યા હોત તો મારા હાથ કેવા ઠરત ! દુનિયાને દેખાડત કે ભાઈએ સગા ભાઈને અધરમ સાટુ છેદી નાખ્યો. પણ હવે બાજી ગઈ.”

“મુરૂભા ! માછરડાને પાદર વડલા નીચે સાહેબોએ દેવુભાની લોથ લટકાવી છે.”

“ભલે લટકાવી. જગત જોશે કે અધર્મીના એવા હેવાલ હોય. રંગ છે સાહેબોને. ભલે એની કાયાને કાગડા કૂતરા ખાતા.”

“મુરૂભા ! હવે ઈ લોથમાં તો દેવુભાને આતમા નથી રહ્યો. પાપનો કરનારો પ્રાણ તો ચાલ્યો ગયો છે. અને ખોળીયું તો હિન્દુ મુસલમાન સહુને મન સરખું જ પાક લેખાય. એ ખોળીયાને અવલ મંજિલ પોગાડ્યા વિના દેવુભાનો જીવ પ્રેતલોકમાં ઝંપશે નહિ.”

"ભલે, તો લઈ આવીએ. ”