પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


“હિંદુઓએ પરદેશગમન કરવું ન જોઈએ એવા વિચારો મૂર્ખાઇ અને બાલિશતાથી ભરેલા છે. એવા વિચારોને જડમૂળથીજ કહાડી નાખવા જોઈએ. જેમ જેમ તમે હિંદની બહાર વધારે જશો અને જગતની પ્રજાઓમાં વધારે ફરશો તેમ તેમ તમને અને તમારા દેશને વધારે ને વધારે ફાયદો થતો જશે. ગયાં હજારો વર્ષોમાં જો તમે તે પ્રમાણે કર્યું હોત તો હિંદુસ્તાન ઉપર એક પછી એક આવીને રાજ્ય કરી જનાર પ્રજાને શરણે તમારે રહેવું પડ્યું નહોત.”

સ્વામીજીનું કહેવું એવું હતું કે હિંદુઓએ પોતાની આધ્યાત્મિકતાથી અખિલ વિશ્વને ભરપુર કરી નાખવું જોઈએ અને અન્ય પ્રજા પાસેથી તેમણે ભૌતિક વિષયોનું શિક્ષણ લેવું જોઇએ. જેઓ વધારે ઉન્નત અને ઉદાર વિચારોને પોતાના મનમાં લાવી શકતા નથી; જેમનામાંથી નૈસર્ગિક શક્તિ સમૂળગી જતી રહેલી છે; જેઓ પોતાની મેળે કંઈ પણ વિચાર કરી શકતા નથી અને ધર્મને નામે અનેક પ્રકારના વ્હેમોનોજ આશ્રય લઈ રહેલા છે; અને જેઓ કુવામાંના દેડકાની માફક કદી બહારજ નીકળ્યા નથી એવા કેવળ ધર્માંધ અને ચુસ્ત જુના વિચારના મનુષ્યોથી આઘાજ રહેવાનો બોધ સ્વામીજી સર્વને આપતા. બીજી તરફ આધુનિક સમયમાં જેઓ જડવાદીઓનું જ અનુકરણ કરીને સ્વચ્છંદપણે મોજશોખમાંજ ડૂબી રહેલા છે અને હિંદના પ્રાચીન ઋષિઓએ બોધેલા સર્વોત્તમ ધર્મ અને તત્ત્વજ્ઞાન તરફ જેઓ અશ્રદ્ધા દર્શાવી રહેલા છે તેમનું પણ અનુકરણ નહિ કરવાનું સ્વામીજી સર્વેને કહી રહ્યા હતા. કેટલાક એમ કહે છે કે આપણા પૂર્વજોની કીર્તિ, ગૌરવ, વગેરેની મોટી મોટી વાતો કરવાથી શું લાભ છે ? એથી તો ઉલટી પ્રજા અધોગતિને પ્રાપ્ત થતી જાય છે. આવું કહેનારાઓને સ્વામીજીએ ઉત્તર આપ્યો છે કે:—