સંન્યાસ દિક્ષા આપી. દિક્ષાની કેટલીક સામાન્ય વિધિ થયા પછી સઘળા બ્રહ્મચારીઓ સ્વામીજીને પગે લાગ્યા. સ્વામીજી તેમને આશિર્વાદ આપીને બોલ્યા કે, “મનુષ્ય જીવનનું ઉંચામાં ઉંચુ વ્રત તમે ધારણ કરો છો. ધન્ય છે તમારા જન્મને, ધન્ય છે તમારી જનનીને, ધન્ય છે તમારા પૂર્વજોને !”
સાંજે સ્વામીજીએ વૈરાગ્યની મહત્તા સમજાવતાં દિક્ષા લેનારાઓને સંબોધીને કહ્યું કે; “યાદ રાખો કે પોતાનો મોક્ષ મેળવવાને અને જગતનું કલ્યાણ કરવાને માટેજ સંન્યાસનો આશ્રમ છે. आत्मन: मोक्षार्थं जगद्धिताय च । ચારિત્રબળ અને અધ્યિાત્મિક સમૃદ્ધિને ખીલવીને જનસમાજમાં તમારે તેને ફેલાવવાની છે. આપણાં મહાન શાસ્ત્રોના સિદ્ધાંતો કે જે સર્વને માટે અનુકુળ અને સુગમ થઈ પડે તેમ છે. તે સર્વને સમજાવી તેમનો વ્યવહાર નીતિમય, સરલ, ઉદાર અને ઉચ્ચગામી બને તેમ કરવાનું છે. જ્ઞાન ભક્તિનાં અધિકારી ઉચ્ચ હૃદયોમાં જ્ઞાનનો પ્રકાશ પાડીને તેમાં સૂઈ રહેલા પરબ્રહ્મરૂપી સિંહને જાગૃત કરવાનેજ આ જગતમાં સંન્યાસીનું જીવન છે. માટે ઉઠો, જાગૃત થાઓ અને બીજાઓને જાગૃત કરો, તમારૂં કર્તવ્ય બજાવો, એટલે મોક્ષને પણ આપોઆપ જ તમારી પાસે આવી પડેલો જોશો.” સ્વામીજીએ ઉપલાં વાક્યોમાં સંન્યાસનો હેતુ અને આદર્શ પોતાના ગુરૂભાઇઓ અને શિષ્યોને સમમજાવી દીધાં હતાં.
ઉપરના શબ્દો બોલતે બોલતે સ્વામીજીના મુખ ઉપર આધ્યાત્મિકતાનું દિવ્ય તેજ પ્રસરી રહ્યું હતું. તેમના હૃદયમાંથી અલૌકિક પ્રકાશ અને જુસ્સો સર્વ તરફ વહી રહ્યાં હતાં. “સ્વામીજી આગળ બોલવા લાગ્યા કે તમારી જાતને માટે સુખ સગવડ નહિ શોધતાં સર્વ યોગક્ષેમ ઈશ્વર ઉપરજ રહેવા દેજો. દરેક પ્રકારની આસક્તિને–કાંચન