પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


શ્રીનગરથી સ્વામીજી રાવલપીંડી ગયા, રાવલપીંડીમાં એક સંદર બગીચામાં તેમણે ભાષણ કર્યું હતું. આ સમયે એક અંગ્રેઝ શિષ્ય હાજર હતો તે લખે છે કે; “ભાષણ આપતે આપતે સ્વામીજી આમ તેમ આંટા લેતા હતા. કોઈ કોઈવાર તે પત્ર, પુષ્પ અને તોરણોથી શણગારેલા સ્તંભને અઢેલીને ઉભા રહેતા. તેમને મસ્તકે અને ગળામાં સુંદર પુષ્પહાર શોભી રહ્યા હતા. ભગવાં વસ્ત્ર પહેર્યાં હતાં. ગ્રીસના પ્રાચીન દેવ જેવા તે દેખાતા હતા. શ્રોતાવર્ગ ઘાસ ઉપર બેઠેલો હતો. થોડેક દૂર સૂર્ય અસ્ત થતો દેખાતો હતો. સઘળો દેખાવ ઘણોજ ભાવગ્રાહી અને મોહક બની રહ્યો હતો.”

સ્વામીજી જ્યાં જ્યાં જતા ત્યાં તેમનો તમામ સમય કોઈ નહિ ને કોઈ પ્રકારની પ્રવૃત્તિમાંજ વીતી જતો. રાવલપીડીમાં સ્વામીજી, પોતાનો વખત કેવી રીતે વ્યતીત કરતા હતા તે વિષે તેમના એક મિત્રની ડાયરીમાંથી નીચેની હકીકત આપી છે તે ઉપરથી સ્વામીજીની પ્રવૃત્તિ પરાયણતાનો ખ્યાલ વાંચનારને સારી પેઠે આવી શકશે.

“આજે સવારમાં સ્વામીજીએ હંસરાજને ઘેર આવેલા મનુષ્યો સાથે હમેશની માફક ધર્મ ચર્ચા કરી. પછીથી તે નિભાઈ બાબુને ઘેર ભિક્ષા લેવાને ગયા અને ત્યાં એકઠા થયેલા બંગાળીઓ સાથે ધર્મ સંબંધી વાર્તાલાપ કર્યો. બપોરના ત્રણેક વાગ્યાને શુમારે તે પાછા આવ્યા અને થોડા વખત પછી સુજનસિંહના બગીચામાં “હિંદુધર્મ” ઉપર ભાષણ આપવાને તે ગયા. ત્યાંથી પાછા આવીને એક સદ્‌ગૃહસ્થને કેકલીક સાધનાઓનાં રહસ્ય સમજાવ્યાં અને રાત્રે જસ્ટીસ નારાયણદાસ, સ્વામી પ્રકાશાનંદ અને લાલા હંસરાજની સાથે શ્રી ભક્તરામને ઘેર જમવાને ગયા. ત્યાંથી તે આશરે દસ વાગ્યાને સુમારે પાછા આવ્યા અને રાતના ત્રણ વાગતા સુધી સ્વામી પ્રકાશાનંદ (આર્યસમાજી) સાથે ધર્મ સંબંધી વાદવિવાદ કર્યો.”