‘આપ એમ માનો છો કે ઠગ બિરાદરીને સજાનો ભય હોય છે ? અમને માનવ સજાનો ભય નથી. બિરાદરીને બચાવવા કૈંક બહાદુરો ખોટા ગુના કબૂલ કરી ફાંસીએ ગયા છે એ આપ જાણો છો. અમને એક જ સજાનો ભય છે : અમારાથી જરા પણ ધર્મ ચુકાય તો અમારી મહાદેવી ભવાની કોપ કર્યા વગર રહે જ નહિ.’
એકાએક આયેશા અંદર આવી મારે માટે ચાનો સરસામાન મૂકી ગઈ. પશ્ચિમ ઉપર મેળવાયેલા પૌર્વાત્ય વિજયોમાં ચાએ અમારા જીવનમાં કરેલો પ્રવેશ મુખ્ય વિજય હતો. આઝાદ કે સમરસિંહ બેમાંથી કોઈએ આયેશા તરફ નજર નાખી નહિ.
ચાની મને જરૂર હતી. સમરસિંહ કે આઝાદને ચાનો શોખ દેખાયો નહિ. મેં ચા પીને વાત આગળ વધારી.
‘ઠીક. મટીલ્ડાની હકીકત તો હું સમજ્યો. કોઈ ઠગની સ્ત્રીને મળેલા અપમાનનો કદાચ બદલો હશે. પણ તમે તો કહો છો કે ગોરાઓ ઉપર ઠગ લોકોએ ઘા કર્યો નથી. શા માટે ?’
ગોરાઓના વિજયમાં ગોરાઓનો દોષ નથી. એમના ગુણ ખરેખર ઊંચા છે. પરંતુ એમના ગુણ કરતાં અમારા અવગુણ એમને વિજય અપાવે છે. દોષ અમારો અને અમે ગોરાઓને કેમ મારીએ ?’
‘પરંતુ તમે તો ઘણા નિર્દોષ હિંદીઓને મારો છો !’
'નિર્દોષ ? કદી નહિ. ઊલટું અમારી બિરાદરીનો એક ભાગ એ જ કામ જુએ છે કે રખે કોઈ નિર્દોષનો ઘાત થાય, કે નિર્દોષની મિલકત લૂંટાય.'
મને સહજ હસવું આવ્યું. ઠગ લોકો ગમે તે માણસને શુકન મળતાં મારી નાખે છે એ વાત સાબીત થયેલી હતી. પરંતુ એ સાબિતીનો વિરોધ સમરસિંહ તરફથી થતો હતો - અને કદાચ એ વિરોધ ખરો પણ હોય. મને વધારે હકીકત મળે એ અર્થે મેં હસવું આવ્યાનો દેખાવ કર્યો.
સમરસિંહે મારા હાસ્યનો કશો જવાબ આપ્યો નહિ. દૂરથી સિતાર વાગતો સંભળાયો. શું ઠગ લોકોમાં કલાકારો અને ગાયકો પણ હતા ?
‘તમારામાં સંગીતકારો પણ હોય છે, નહિ ? મેં પૂછ્યું.
‘હા, જી. અમારા કૈંક સંગીતકારો રાજદરબારમાં રહેલા છે.’
‘એમ ?’
‘હા જી, આ આઝાદ એક સરસ બીનકાર છે એ હું આપને જણાવું છું.'
‘આઝાદ ?' મને આશ્ચર્ય લાગ્યું. આવો લડાયક વૃત્તિનો ક્રૂર ઠગ બીન