પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૯૦ : તુલસી-ક્યારો


પિતાના ઘરમાં દેવુ ચોરની જેમ પેઠો. અંધ મામાજી બહાર જ ઊભા રહ્યા. ભણેલો ગણેલો ભાણેજ, કોલેજનો મોટો પ્રોફેસર, પોતાના જૂના, અંધા અને પરોપજીવી સગાને કેવાં આદરમાન દેશે તેની એને ધાસ્તી હતી. એણે દેવુને કહ્યું હતું કે તારા બાપુને પૂછી જોજે, મામા અંદર આવે? જો ના કહેશે તો હું કોઈ ધર્મશાળામાં ચાલ્યો જઈશ.

દેવુ એકલો પણ બીતો બીતો જ અંદર પેઠો. ભદ્રાબા એને દેખી દડ દડ આંસુડે રડવા લાગ્યાં. દેવ જાણે દસ બાર વર્ષે દેશાવરથી ઘેર પાછો વળતો હોય એવા ભાવથી એણે દુઃખડા લીધાં.

'દાદાજીને કેમ છે?' ભદ્રાએ પહેલા ખબર પોતાની પુત્રી અનસુના નહિ પણ સસરાના પૂછ્યા.

'ઠીક છે. ને અનસુ પણ સારી પેઠે છે. એ ક્યાં છે?' દેવુ એટલું પણ ન બોલી શક્યો કે 'મારા પિતા ક્યાં છે.'

'તારા બાપુ આ અંદર સૂતા. તારાં બા આંહી નથી. એ તો એમના પિયરના કોઇ સગાંને ગામ ગયાં છે. હું આવી છું એટલે બે પાંચ દા'ડા વિસામો ખાવા મેં જ આગ્રહ કરીને મોકલેલ છે.'

ભદ્રાને ખબર નહોતી કે છાપાંનાં કાગળીઆં, એના જેવી ગામડિયણ બાઈની જેમ મોટાં નાનાં વચ્ચે ભેદ પાડ્યા વગર, અને નિસ્બત ધરવતાં ન ધરાવતાં લોકોની વચ્ચે કશો વિવેક કર્યા વગર, સૌને, સરખા નિખાલસ જે નિઃસંકોચ ભાવે જ અલક મલકના સમાચારો આપી વળે છે.

'ભદ્રા બા !' દેવુએ કહ્યું : 'દીવા આગળ બેસીને જૂઠું બોલો છો? મને જલદી કહો, એ નઠારી નવી બા ક્યાં છે? હું અને મામાજી બેઉ એને જોઇ લઇશું.'