પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૩૦૮ : તુલસી-ક્યારો


'હવે વધુ કહેવું રહેવા દો.' એક બેસારૂએ કહ્યું : 'એ બાપડો રડી પડશે. કોને ખબર છે બાપડાને પારકી જણીએ જ બગાડ્યો હશે.'

પછી સૌ પરોપકારી લોકો કર્તવ્ય અદા કર્યાના સંતોષે નીતરતી પહેલી નિદ્રાનાં ઝોલાં ખાવા લાગ્યાં અને પોલીસો તથા ભાસ્કર વચ્ચેનો વાર્તાલાપ ત્રુટક ત્રુટક ભદ્રાને કાને પડવા લાગ્યો.

નાયકે કહ્યું : 'બીજું કોઇ તમારો જામીન થવા ના અવ્યું ને આ ડોકરી આવી ! એનો જમાન સરકાર શાની કબૂલે?'

સિપાહીએએ કહ્યું :'અરે યાર, ત્રણ દિવસથી એ ડોકરી જેલને દરવાજે પડી હતી. જામીન કેમ આપવો એની કશી ખબર ન પડે, ને એ તો એક જ જીદ લઇને બેઠી કે મારા દીકરાને બદલે મને કેદમાં રાખો.'

'માણસને બદલે માણસને તો કોણ રાખે ?' નાયકે કહ્યું :'જમાન તો રૂપિયામાં જ જોવે ને ?'

'ડોકરી પાસે કંઇ રૂપિયા રડા કે ઇસ્કામત તો હશે ને ! હેં માસ્તર ?'

'નહિ રે !'

'કેમ, તમે આવું જબરૂં માણસ, અને માને કંઇ મૂડી નહિ રળી દીધી હોય ?'

'એક પૈસો પણ નહિ.'

'ઓ તારીની ! એક પૈસો પણ નહિ ? તાણે મા ગુજારો કેમ કરતી હતી ?'

'દળણાં દળીને.'