તાજીઆના દિવસમાં દુલા દુલા કરીને ફરનારા ગાય છે, કે “તમે કાંતો રે હો બીબીઆં.” બીબી ઉત્તર આપે છે, કે “મેં ક્યા કાંતુ, મેરે ચરખા નહિ, મેરે પૂણીઆં નહિ.” ત્યારે પેલો કહે, કે “આ ચરખા લો, આ પૂણીઆં લો, તમે કાંતો રે હો બીબીઆં.”
એકવાર મારાં ભાભી વેગળાં બેઠેલાં હોવાથી ઘરના પાછલા ખંડમાં સુતાં હતાં. મારાં માતુશ્રી વચલા ખંડમાં ને અમે સૌ આગલા ખંડમાં હતાં. મધ્યરાત વીત્યા પછી વાડા તરફના પાછલા બારણાનું ચણિયારૂં ઉતારી એક ચોર અંદર પેઠો, અને મારા ભાભીને પગે કલ્લાં હતાં તે કાઢવા માટે બે હાથે પહોળા કરવા લાગ્યો; એવામાં મારાં ભાભી જાગી ગયાં, ને ચોર, ચોર, એવી બૂમો પાડવા લાગ્યાં. તેમની બૂમો સાંભળતાં જ મારાં માતુશ્રી ઊભાં થયાં, ને ઊભો રહે મારા રડ્યા તારો ઓસલો કૂટું, એમ કહેતાંકને તેમણે વચલું બારણું ઝટ લઈને ઉઘાડ્યું. એથી ચોર ગભરાયો ને પાછલે બારણેથી નીકળી નાઠો.
જમનામા એટલેથી સંતોષ ન પામ્યાં. તે તો ચોરની પાછળ વાડામાં દોડ્યાં. ચોર વાડ કૂદાવીને ભાગી ગયો. તેમણે ઘરમાં પાછાં આવીને અમને સૌને જગાડ્યા. રાત અજવાળી હોવાથી મારા ભાઈ પગેરૂં જોતા તલાવ ભણી ચાલ્યા, પણ તલાવ નજીકથી પગલાં આગળ દેખાયાં નહિ, તેથી તે પાછા આવ્યા.
મારા ભાઈએ કહ્યું, મા, ચોરની બૂમ પડી ત્યારે તેં અમને કેમ ઉઉઠાડયા નહિ ? એકલી જોઈને તેણે કદી તને મારી હોત તો? તેમણે જવાબ આપ્યો, કે તમને ઉઠાડવા જતાં ચોર કલ્લાં લઈને નાસી જાત. મને કંઈ ચોરની બીક લાગી જ નહોતી !
- ↑ *ટચુકડી બીજી સો વાતો. લેખક :– હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા