લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?
૧૩૧
 

એમ કરતાં કરતાં કમળા ગુફા પાસે આવી. તડકો થઈ ગયો હતો; સૂરજ ભગવાન આકાશ વચ્ચોવચ્ચ આવ્યા હતા. કમળાને ખૂબ ભૂખ લાગી હતી. પણ ગુફા પાસે આવી એટલે થાક, તડકો ને ભૂખ બધાં ય ઊડી ગયાં; ગુફા જોઈને તે તો રાજીના રેડ થઈ ગઈ.

ગુફાના મોં આડી એક મોટી શિલા હતી. કમળાએ હળવેથી તેને કોરે કરી. અંદર જુએ છે તો એક મોટું ભોંયરું. એમાં એક ઝાંખો દીવો બળે. કમળા તો અંદર ચાલી. જરાયે બીતી ન હતી; તેની છાતી થડકી નહિ ને પગ પણ ઢીલા થયા નહિ.

જરાક ઊંડે ગઈ ત્યાં બે દીવા બળે. દીવા પાસે પેલો જાદુગર બેઠેલો. ધોળી ધોળી રૂ જેવી એની દાઢી. આંખ ઉપર જૂનાં અને ભાંગેલાં ચશ્માં પહેર્યાં હતાં. ચશ્માંની એક દાંડલી તૂટી ગઈ હતી, તેને બદલે દોરો બાંધ્યો હતો. હાથમાં પીળા પારાની માળા હતી ને ડાબે પડખે પીંછાંનો મોટો ઢગલો પડ્યો હતો. એ પીંછા બુલબુલના હતાં.

કમળાને જોઈને બાવાજી કહે : “કોણ એ અત્યારે મારી એકાંત ગુફામાં ?”

કમળા કહે : “બાવાજી ! એ તો હું છું, તમારી દીકરી કમળા.”

કમળા બાવાજીને પગે લાગી. બાવાજીએ આશીર્વાદ આપ્યો: “બેટા તારું ભલું થશે.”

પછી કમળાએ બાવાજીને કહ્યું : “બાવાજી ! મારે બુલબુલ થવું છે. મારે આકાશમાં ઊડવું છે ને મીઠાં મીઠાં ગીતો ગાવાં છે.”

બાવાજી કહે : “હે હેં, કમળા ! માણસ મટીને તારે પક્ષી થવું છે ? એ તે તને શું સૂઝ્યું ? એમાં તે શો લાભ છે ?”