લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
વાર્તાનું શાસ્ત્ર-૧
 

કમળા કહે : “બાવાજી ! મારે તો બુલબુલ થવું છે. મને ગાવું ને ઊડવું બહુ ગમે છે. હવે તો હું કિલ્લામાં ને મહેલમાં બેસીને થાકી ગઈ છું. મારે તો હવે આવડા મોટા આકાશમાં ઊડ્યા જ કરવું છે.”

બાવાજી કહે : “ઠીક ત્યારે. મને તારી આ મોતીની માળા આપી દેજે. રોજ એક એક મોતી લાવજે ને તેને બદલે આમાંથી એક એક પીછું લઈ જજે. તું બધાં ય મોતી આપી દઈશ ત્યારે હું તને બુલબુલ બનાવી દઈશ.”

કમળા વિચારમાં પડી ગઈ.

બાવાજી કહે : “એમ મોતીનો લોભ કરીશ તો બુલબુલ નહિ બનાય.”

કમળા કહે : “બાવાજી ! મોતીનો રંગ તો મને ગમે છે, પણ તેથી ય વધારે વહાલાં મને બુલબુલનાં પીંછાં લાગે છે. મારે હવે મોતીનું કામ નથી.”

કમળા ઘેર આવી. એના હૈયામાં હરખ તો માય નહિ. હવે તો પોતે બુલબુલ થવાની હતી.

પછી તો રોજ કમળા બાવાજીની ગુફાએ જાય; એક મોતી બાવાજીને આપે અને એક પીંછું લઈ આવે. એમ કરતાં કરતાં છેલ્લો દિવસ આવ્યો.

કમળા બાવાજી પાસે પીંછાંનો ઢગલો લઈને ચાલી. મનમાં ને મનમાં બોલતી જાય : “હાશ, આજે તો હવે જરૂર બુલબુલ થવાશે !”

કમળા બાવાજી પાસે પહોંચી.

બાવાજી કહે : “કેમ, શો વિચાર છે ? પક્ષી થઈ જવું છે ?”

કમળા કહે : “હા જી, મારે તો પક્ષી થવું જ છે.”