નવી કૂકડી તો ઊડીને રંગારાની દુકાન પાસે રંગનું કૂંડું હતું તેમાં પડી, અને મરી ગઈ.
કૂકડો બીચારો ઘરભંગ થયો એટલે નિમાણો થઈને એક પીંપળાના ઝાડ પર બેઠો.
પીંપળો કહે : “કૂકડાભાઈ, કૂકડાભાઈ ! આજે નિમાણા થઈને કેમ બેઠા છો ?”
કૂકડો કહે :
“કૂકડી પડી રંગમાં,
કૂકડો શોકઢંગમાં.”
પીંપળો કહે : “અરે !. એ તો બહુ દુઃખની વાત. એ દુઃખથી હું મારાં પાંદડાં ખેરી ખાનું છું.” એમ કહી પીંપળે પોતાનાં પાન ખેરી નાખ્યાં.
થોડી વાર થઈ ત્યાં પીંપળા નીચે એક ભેંશ આવી.
ભેંશ કહે : “પીંપળાભાઈ, પીંપળાભાઈ ! આજે આમ કેમ ? કાલે તો તમારા પર બહુ સુંદર પાંદડાં હતાં અને આજે એકે ય કેમ નથી ?”
પીંપળો કહે : “બેન ! કાંઈ કહેવાની વાત નથી.”
ભેંશ કહે : “ભાઈ કહો તો ખરા; છે શું ?”
પીંપળો કહે :
“કૂકડી પડી રંગમાં,
કૂકડો શોકઢંગમાં
અને પીંપળપાન ખર્યાં.”
ભેંશ કહે : “અરે ! આ તો બહુ દિલગીર થવા જેવું ! હું પણ મારાં શીંગડાં પાડી નાખીશ.” એમ કહી ભેંશે પોતાના શીંગડાં પાડી નાખ્યાં.