વાર્તાઓ પડેલી છે. ભંડારમાં કલ્પિત વાર્તાઓ છે તેમ સાચેસાચી ઘટનાની વાર્તાઓ પણ છે; ભંડારમાં વિજ્ઞાનની વાતો છે તેમ ધર્મની વાતો પણ છે; એ ભંડારમાં કલાની વૃત્તિને જગાડનાર વાર્તાઓ છે તેમ કલાની કદર કરતાં શીખવનાર વાર્તાઓ પણ છે; એમાં સાહિત્યનો આત્મા જગાડનારી વાતો છે તેમ જ ઈતિહાસભૂગોળને રસિક બનાવનારી વાતો પણ છે. પણ આ વાર્તાઓનો આપણે શિક્ષણની દૃષ્ટિથી ઉપયોગ કરી શકીએ છીએ.
વાર્તાઓ એટલે કલ્પિત વાર્તાઓ જ એમ સમજવાનું નથી. જેમાં વાર્તાના અંશો છે તે બધી હકીકતોના સમૂહો તે વાર્તાઓ જ છે. ઈતિહાસની હકીકતો ભૂતકાળની વાર્તાઓ છે; ખગોળની હકીકતો આકાશની વાર્તાઓ છે; ભૂસ્તરની હકીકતો પૃથ્વીના પડની વાર્તાઓ છે. પૃથ્વી કેમ થઈ, તેના ઉપર વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્યો કેવી રીતે આવ્યાં, ચંદ્ર અને મંગળ પર કેવી સ્થિતિ હશે વગેરેને લગતી વાતો પરીઓની વાતો કરતાં કાંઈ ઓછી અદ્ભુત કે ઓછી રસિક નથી. ‘પાઘડી અને તોરા’ની ને ‘ત્રણ રાક્ષસો’ની વાતો આપણને પરીઓની વાર્તાથીયે વધારે ગમી હતી. વાતપ્રવાહ, ઉદકપ્રવાહ અને વરાળિયો કાંઈ જેવાતેવા બળવાન રાક્ષસો નથી કે જેની વાતો સાંભળતાં આપણાં રૂંવાડાં ઊભાં ન થાય. રેશમની ઉત્પત્તિની કે ઊધઈના પરાક્રમની, કીડીના કોઠારની કે એકાદ જનાવરના ફૉસિલની વાત કાંઈ ઓછા ચમત્કારભરી નથી. ટૂંકમાં એમ કહીએ તો કાંઈ વધારે પડતું નહિ ગણાય કે આ આખું જગત અને તેના ચમત્કારો એક મહાન અને અદ્ભુત મહાકથા કે મહાભારત છે. પાંડવકૌરવોના મહાભારતથી યે આ મહાભારત મોટું છે. આ ભારતની કથા અનંત છે. આમાં