લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૦
વાર્તાનું શાસ્ત્ર-૨
 

ત્યારે સંસારની રમતમાં જેમ બધું કલ્પે છે તેમ ન કલ્પતાં બને તેટલું તેનું નાટક વાસ્તવિક કરે તો સારું. આથી સાધનસામગ્રીનો પ્રશ્ન ઉપસ્થિત થશે. નાટકશાળાના નાટક જેટલી સામગ્રીની તૈયારીની અપેક્ષા આવા બાલનાટ્યપ્રયોગમાં નથી; છતાં મર્યાદામાં રહી જેટલી વાસ્તવિકતા લાવી શકાય તેટલી લવાય તો સારું.

નાટકનાં પાત્રો ગોઠવવા અને પાત્રોએ શું શું બોલવું ને કેમ અભિનય કરવો વગેરે બાબતો નક્કી કરવા બાળકોને છૂટાં મૂકી દેવાં. આથી જરા વખતનો થોડોએક વધારે વ્યય થશે, પણ બાળકોને નાટકશાળાનું સ્વરાજ ચલાવતાં આવડશે ને બાળકો પોતાની ખરી રુચિ પ્રગટ કરશે. કોણ કયા કામને માટે વધારે લાયક છે તે બાળકો જ શોધી કાઢશે; કોને નાટકમાંથી કાઢી નાખવાં તે બાળકો પોતે જ નક્કી કરશે. વાર્તાનો કયો ભાગ તેમને વધારે ગમી ગયો છે, કયા ભાગનો અભિનય તેમના હૃદયમાં પેસી ગયો છે, વાર્તાએ તેમના ઉપર કયા રસની અસર કરી છે, એ તુરત જ જણાઈ આવશે. શિક્ષકે તો માત્ર દૃષ્ટા થઈને જોવાનું છે. જ્યાં બાળક મદદ માગે ત્યાં તેને તે આપવાની છે અને બાળકોનું નાટક જોઈ તેમને અભિનંદન અને ઉત્તેજન આપવાનાં છે. જ્યારે નાટક ચાલવા માંડશે ત્યારે શિક્ષક જોઈ શકશે કે કયું બાળક ખરો નટ છે, કયું બાળક ભાષાની દૃષ્ટિથી નાટકમાં પેસે છે ને કયું બાળક પોતાની ક્રિયા કરવાની વૃત્તિથી એમાં પડેલ છે. બાળકો પોતાની મેળે જ પાઠ લેશે ત્યારે શિક્ષકને તરત જ જણાશે દરેક બાળકને કયો પાઠ પ્રિય હોવાથી તે પાઠના પાત્રની કઈ વૃત્તિ તેને વધારે ગમેલી છે. સ્વતંત્ર રીતે સ્વતંત્ર આબોહવામાં બાળકોને નાટકો કરવા દેવાય તો બાળકોનાં વલણો સંબંધે આપણે ઘણું જ જાણી શકીએ. ક્ષત્રિયનો પાઠ લેવાનું અમુક જ બાળકને