લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૮
વાર્તાનું શાસ્ત્ર-૨
 

કેળવણી લેવા આવે છે તે પહેલાં તેના ઉપર થઈ ચૂકે છે. થોડાએક શબ્દોમાં આ અસરોને વર્ણવીએ તો નીચે પ્રમાણે ગણાવી શકાય :

(૧) પૂર્વજન્મોના સંસ્કારો.
(૨) સમષ્ટિના વિકાસનું ફળ.
(૩) પૂર્વજોનો વારસો.
(૪) જન્મ પહેલાં ગર્ભાવસ્થામાં પડેલી અસર.
(૫) સમાજની અસર.
(૬) વાતાવરણની અસર.

આવી અસરવાળો, આવા સંસ્કારવાળો, આવી પૂર્વજન્માગત વૃત્તિઓવાળો માણસ જ્યારે કેળવણી લેવા બેસે છે ત્યારે કેળવણી તેની આ બધી સ્થિતિની અવગણના કરે છે, અને માણસ જે સ્થિતિએ ઊભો છે ત્યાંથી તેને ઊંચે લઈ જવાને બદલે માણસને પોતાની ઈચ્છાનુસાર ઘડવા માગે છે. આવે વખતે બળવાન માણસ કેળવણીની સામે બંડ કરી પોતાના સ્વભાવને અનુસરે છે. પણ બધાં એવાં બળવાન સત્ત્વો હોતાં નથી. નિર્બળ માણસો પ્રણાલિકાના ગુલામ બની પ્રણાલિકાના બળથી દબાઈ જઈ પોતાના સ્વભાવને સંતાડે છે. સ્વભાવ નાશ તો પામતો જ નથી. સ્વભાવનો નાશ કરવામાં કેળવણી કદી સમર્થ થઈ નથી, ને થઈ શકે પણ નહિ. પરંતુ સ્વભાવને ઉન્નત કરવામાં, ઉચ્ચગામી કરવામાં અને તેની દિશા બદલવામાં કેળવણી ફતેહ મેળવી શકે છે. હવે માણસના વિકાસના ક્રમને જોઈએ તો માલૂમ પડે કે માણસ ધીમે ધીમે જડતામાંથી ચેતનને પામતો ગયો છે. અશ્લીલતામાંથી ગ્રામ્ય- તામાં ગયો છે, ગ્રામ્યતામાંથી શિષ્ટતામાં ગયો છે ને તેમાંથી મનુષ્યત્વમાં ગયેલો છે. કેળવણીનો પ્રબંધ દરેક માણસને એકાએક મનુષ્યત્વ આપવા માગે છે; માણસ