લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લોકવાર્તાનું કથન અને કલ્પનાશક્તિ
૨૩૭
 

જેટલો ભેદ એક તત્ત્વવેત્તામાં અને ગાંડા માણસમાં છે, જે ભેદ તરંગી કવિ અને હિસાબી વાણિયા વચ્ચે છે, તે ભેદ સાચી કલ્પના અને ખોટી કલ્પના વચ્ચે છે. જેમ પ્રતિભા અને ગાંડપણ નજીક નજીક રહે છે, તેમ જ સાચી કલ્પના અને ખોટી કલ્પના પણ એકબીજાની નજીક નજીક જ રહે છે. યથાર્થ કલ્પનાને પરિણામે માણસ વાર્તાના પાત્રોની વાસ્તવિકતા છોડી દઈને મનુષ્યના સ્વભાવનું વાસ્તવ્ય પકડી પાડે છે, જ્યારે અયથાર્થ કલ્પનામાં રમનાર માણસ વાર્તાનું રહસ્ય બાજુએ મૂકી પાત્રોની સંભવિતતામાં ભટકે છે. જેનામાં કલ્પનાનો ખરો ઉદય છે તે પાત્રોની સબળતા-નિર્બળતામાં જનતાની વ્યક્તિનું પ્રતિબિંબ જુએ છે, અને વાર્તાના પાત્રોનું સીધું અનુકરણ કરવાને બદલે પાત્રોના ગુણદોષ તરફ પ્રેમ અથવા સહાનુભૂતિથી જુએ છે, અને કઈ વસ્તુ સમાજ ઈષ્ટ ગણે છે અને કઈ વસ્તુ નથી ગણતી તે ખોળી કાઢે છે. ભુલવામાં પડેલો માણસ પાત્રોનું ખરાપણું સ્વીકારી બેસે છે અને તેમને પોતાના જીવનનાં આદર્શો ગણી કાઢે છે. જીવનના આદર્શો તો જીવંત વ્યક્તિઓ જ અથવા જે વ્યક્તિઓ સમાજમાં જીવંત મનાઈ ગઈ છે તે જ સંભવી શકે છે. આથી જ ચરિત્રોના ગ્રંથો વાર્તાના ગ્રંથો નથી. વાર્તામાંથી માણસ ખોટી કલ્પનાએ ચડી જાય છે એ કહેવામાં અર્ધસત્ય રહેલું છે, પણ તેમાં વાર્તાનો દોષ નથી પરંતુ વાંચનાર અથવા કહેનારનો દોષ છે. આપણે વાર્તાઓ વાંચીએ છીએ તે સાચી ગણીને વાંચતા નથી, અને છતાં આપણે તે રસ અને પ્રેમથી વાંચીએ છીએ, આપણે પેમલા-પેમલીની કે દેડકા-દેડકીની વાર્તામાં આજના સમાજના અનેક પેમલાઓ અને દેડકાઓ જોઈ શકીએ છીએ અને તેથી તેમાં આનંદ લઈ શકીએ છીએ. મિયાંબીબીની વાર્તા આપણને એટલા માટે રસ આપે છે કે