લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૪
વાર્તાનું શાસ્ત્ર-૨
 

આગાહીરૂપ છે. એ જ વહેમોને આજે આપણે નવી દૃષ્ટિ આપી શકીએ. જે સ્ત્રી પતિવ્રતાનો ધર્મ પાળે છે અને પતિની પાછળ વૈધવ્યદશાનું તપશ્ચરણ કરે છે તે સ્ત્રીનું શુકન શુભ સૂચનની નિશાની છે એમ આપણે કેમ ન સમજાવીએ ? તેમ જ અંત્યજ, જે સેવાનો ઉત્કૃષ્ટ આદર્શ છે છતાં જેનું દર્શન આપણે વિઘ્નસૂચક માનતા આવ્યા હતા, તેમાં કેવળ જડતા હતી એમ આપણે કેમ ન કહી શકીએ ? તત્ત્વાર્થ એ છે કે આપણે વહેમોથી ડરવાનું નથી પણ લોકવાર્તાના વહેમોમાં કાં તો વિજ્ઞાન જોવાનું છે, ભાવના જોવાની છે અથવા તો તેને નવું સ્વરૂપ આપવાનું છે.

ઘણાઓ એમ માને છે કે ભય ભરેલી વાર્તાઓના શ્રવણથી ભયનો સંચાર થાય છે અને તે બાળકોને નુકસાન કરે છે. આ વાત સાચી છે. બીક એ મનુષ્યમાં સ્વભાવતઃ છે જ, અને આવી વાર્તાઓથી એ સ્વભાવને પોષણ મળે છે. આજે નાનપણમાં એવી વાર્તા સાંભળેલા ઘણા એ જ કારણે બીકણ બની ગયેલા હોય છે તે ખરી વાત છે. પણ બરાબર તપાસીએ તો એકલી વાતોથી માણસ બીકણ ન થઈ શકે. વાત એમ છે કે પહેલેથી જ આપણે અમુક બાબતો બીવરાવનારી છે એમ બાળકોને છેક નાનપણથી ઠસાવીએ છીએ; બાળક તો માત્ર પાછળથી એનું દૃઢીકરણ કરે છે. પ્રેરણાથી બાળક બીએ છે; તેની બીક પશુની બીક જેવી સ્થૂળ છે. જે તેને ઈજા કરે છે તે તેને ભયરૂપ છે. કુદરતી રીતે બાળક અંધારાથી બીતું નથી; બાઉ કે હાઉની તે દરકાર કરતું નથી; ભૂતપ્રેતની તો તેને કલ્પના પણ આવી શકતી નથી. પણ માબાપો આ બધી વસ્તુમાં કંઈક બીક છે એવું તેમને વારંવાર બીવરાવીને ઠસાવી દે છે, અને પાછળથી વાર્તાઓ આ બીકને મજબૂત કરવામાં સારો એવો હિસ્સો આપે છે. આનો અર્થ એવો નથી કે માણસને બીકણ બનાવવાના ગુનામાંથી વાર્તા મુક્ત છે.