લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૪
વાર્તાનું શાસ્ત્ર-૨
 

કહેશો તો તેઓ સામે દસ વાર્તાઓ કહેશે; એકામાં બેઠા બેઠા એક દુહો લલકારશો તો એકાવાળાની દુહાની નદી આપોઆપ વહેવા લાગશે. જે કોઈ ભંડારી લોકસાહિત્યનો તમારો પ્રેમ એકવાર જાણશે તે તો પોતાનું હૃદય ચોરશે નહિ. ભણેલા લોકોમાંના જે લોકો સમાજના પરિચયમાં વધારે આવે છે તે લોકો લોકસાહિત્ય એકઠું કરવામાં સારી મદદ કરી શકે. ગામડાના વૈદો, મહેતાજીઓ, કોટવાળો કે ગામોટો આ કામમાં ઘણા ઉપયોગી છે. સ્વ. રણજિતરામભાઈએ મહેતાજીઓનો સારો ઉપયોગ કર્યો હતો. સારી રીત એ છે કે સંગ્રાહકોએ જે લોકોનું સાહિત્ય એકઠું કરવું હોય તેમની સાથે અમુક વખત એકઠા રહેવું જોઈએ. લોકજીવનના પ્રસંગે પ્રસંગે તેમને લોકસાહિત્ય આપોઆપ મળી જશે. પણ તેમ ન બને ત્યાં તો ઉપર કહેલા પરિચિત માણસો મારફતે લોકસાહિત્યના ભંડારીઓને મળવાનું છે. એવા માણસો ભજનમંડળીમાં, મેળામાં, માતાજીના મઠમાં, રાંદલની માંડવી આગળ, શીતળામાની દેરીએ, ગામને ગોંદરે, ચરમાળિયા પાસે, ધણમાં કે નેસમાં ખીલે છે. અશિક્ષિત સ્ત્રીઓ પાસેથી લોકસાહિત્યનાં રત્નો લેવાનું કામ અતિ મુશ્કેલ છે. સ્ત્રીસુલભ સ્વભાવને લીધે તેઓ આપણી પાસે વાર્તા કહેવા કે ગાવા નહિ બેસે. પણ અજવાળી રાતે જ્યારે લોકગીતની રેલ રેલાય ત્યારે દૂર બેઠાં બેઠાં એમાં પુણ્યસ્નાન કરવાની કોઈને મના નથી. આપ્ત સ્ત્રીજનો આવા કામમાં વધારે સારી મદદ કરી શકે. અને એમાં એવું પણ છે કે જો એકવાર આવા શરમાળ વર્ગને પણ લાગે કે તમારો ઉદ્દેશ નિર્મળ છે તો તેઓ લાંબે વખતે પોતે જ સંકોચ છોડી તમારી પાસે પોતાનું હૃદય ખુલ્લું કરે પણ ખરા. અજ્ઞાની લોકો તરફ ખૂબ મમતા અને પ્રેમ બતાવવાથી તેઓ પોતાનું હૃદ્‌ગત