કહેવાના જ. તેમને એટલી ખાતરી થવી જોઈએ કે આપણે તેમને હસી કાઢતા નથી અથવા આપણો ઉદ્દેશ તેમને કે તેમના સાહિત્યને બદનામ કરવાનો નથી આવા લોકો ઈનામને વશ થઈને લોકસાહિત્ય આપશે એવું માનવાની ભૂલ કદી કરવી નહિ. તેમ જ અધિકારબળે મળેલું લોકસાહિત્ય કેટલું સાચું છે તે પણ વિચારવા જેવું છે. સારો અને સાચો બદલો તો એ લોકોની પ્રેમપૂર્વક કદર એ જ છે; અને તે જ સાધન આપણે વાપરવું જોઈએ.
આ વિષય જેટલો મહત્ત્વનો છે તેટલો જ તે વિશાળ છે. આજે તો લોકવાર્તાનું સાહિત્ય ક્યાં છે, તેના કેવા કેવા પ્રકાર છે અને તેને કેમ મેળવવું તે વિષે થોડુંએક કહ્યું છે. આ વિષય પરત્વે આપણે ઘણું ઘણું કહી શકીએ. લોકસાહિત્ય એટલે શું ? એના અભ્યાસની શી જરૂર છે ? એનો અભ્યાસ શી રીતે થઈ શકે એ વિષયો એક પ્રકારના છે. લોકગીતનો પ્રદેશ વળી એવડો જ છે અને એટલો જ સુંદર અને રસિક છે. લોકસાહિત્યનાં બીજાં અંગોના પ્રદેશો પણ કાંઈ નાનાસૂના અને ઓછા ઉપયોગી નથી. પરંતુ આ બધાને પ્રસ્તુત સાથે નિકટનો સંબંધ નથી એટલે અત્યારે અહીં જ વિરમું છું.