લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાછળથી
૨૭૫
 

પણ પછીથી બાળકો જ જલસામાં વાર્તાઓ કહેવા લાગે એ માર્ગે જલસાને લઈ જવામાં જલસાની ઉપયોગિતા છે. એથી બાળકની વાર્તા કહેવાની શક્તિ વ્યક્ત થશે. ખીલશે અને તેઓ આપણી પરાધીનતામાંથી છૂટશે. આપણે જોઈ પણ શકીશું કે આપણા કથનમાંથી તેમણે એકંદરે શું શું ઉપાડ્યું છે. આપણે વાર્તાઓ કહીને તેમની પાસેથી કઢાવતાં નથી, છતાં તેમનામાં વાર્તાની અને શૈલીની છાપ કેવી પડી છે તે સહેજે જાણી શકીશું.

આમ વચ્ચે વચ્ચે લોકસાહિત્યના જલસાઓ ગોઠવાય તો સારું.

(૪) ઐતિહાસિક વાર્તાનું કથન

વાર્તાનું કથન એક મોહિની છે. એ સ્વાનુભવમાંથી સૂઝ્યું કે વાર્તા દ્વારા ઈતિહાસનું શિક્ષણ સુલભ છે. આવો વિચાર કેળવણીશાસ્ત્રીઓએ પ્રગટ તો કરેલો જ છે. બાળવાર્તાઓ અને લોકવાર્તાના પ્રદેશ ઉપર ચાલીને આવેલાં બાળકોને ઐતિહાસિક વાર્તાનું શ્રવણ સહેલું અને રસભર્યું લાગે છે. તલ્લીનતા એની એ જ છે. વાર્તાઓ સાચી ઘટના છે એમ કહેવામાં આવ્યું છે, તેથી બાળકો જાત જાતના પ્રશ્નો પૂછે છે અને વાર્તામાં આવી જતી અસ્વાભાવિકતા કે વિચિત્રતાને એમ ને એમ ગળી જતાં નથી. લશ્કરમાં બરાબર કેટલાં માણસો હતાં તે બાબતમાં પણ ચોક્કસ થવા માગે છે. લાગણી પ્રદર્શિત કરવામાં ઘણી વાર હિંદુપણું કે રાષ્ટ્રપ્રેમ પક્ષપાત કરાવે છે. વાસ્તવિક વાર્તાના પડઘા લડાઈ અને નાટકમાં પણ પડે છે. બાળકો વાર્તાનાં પાત્રોનાં ચિત્રો જોઈને ઓર આનંદ લે છે. શિવાજીના સૈનિક થવાનો પાઠ સૌ પ્રેમપૂર્વક સાંભળે છે.