લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૬
વાર્તાનું શાસ્ત્ર-૨
 

વાર્તાનું વસ્તુ

આમ ઐતિહાસિક વાર્તાનું કથન શરૂ થઈ ચૂક્યું છે; પણ વસ્તુ માટે શું કર્યું છે ? વસ્તુની પસંદગીમાં શરૂઆતમાં નજીકનું અને ધીમે ધીમે દૂરનું એ શાસ્ત્રીય વિચારને તો છોડી દેવાયો છે. એટલે જ કાઠિયાવાડના બલકે ભાવનગરના ઈતિહાસથી ઈતિહાસનું શિક્ષણ શરૂ કરવામાં નથી આવ્યું. શરૂઆતમાં કાઠિયાવાડ, ગુજરાત, હિદુસ્તાન એવા ભાગો પાડ્યા વિના સમગ્ર હિંદમાં થઈ ગયેલી આકર્ષક ઐતિહાસિક વ્યક્તિની વાર્તાઓ કહેવાનું રાખ્યું છે. આ રીતે જયશિખરી, વનરાજ, શિવાજી, દુર્ગાદાસ, હમીર વગેરેની વાર્તાઓ કહેવાઈ ગઈ છે, ને બાળકોએ વધતા જતા પ્રેમથી તે સાંભળી છે. વસ્તુની બાબતમાં આપણું દારિદ્ર જબરજસ્ત છે. છતાં વાર્તા કહેનાર ભાઈ રામનારાયણ, ઐતિહાસિક વસ્તુને જ્યાંત્યાંથી ખોળી કાઢવાનો ભારે શ્રમ ઉઠાવે છે.

ઈતિહાસશિક્ષણમાં પદ્ધતિ

ઈતિહાસ શીખવવા માટે વપરાતી કાલક્રમાનુસારી, વ્યુત્ક્રમ કે કેન્દ્રાનુસારી ત્રણેમાંથી એકે ય પદ્ધતિનો અહીં ખાસ સ્વીકારવામાં નથી આવ્યો; અહીં તો છૂટીછવાઈ વ્યક્તિઓની કથા કહેવાય છે. આને ચરિત્રકથનપદ્ધતિ એવું નામ આપી શકાય. આ વ્યક્તિની આસપાસ જેટલો ઈતિહાસ ગૂંથી શકાય તેટલો ગૂંથ્યા પછી એની સાંકળ તો આગળ ઉપર જોડવાની છે. ચરિત્રકથનપદ્ધતિની ખરી ખૂબી ચરિત્રોને કથવામાં છે. એ માટે વાર્તાકારમાં કથનની કળા ઉપરાંત ભાવાવિષ્ટ થવાની શક્તિ જોઈએ. જ્યારે ઐતિહાસિક વાર્તા કહેનાર વાર્તા કહેતાં કહેતાં ઈતિહાસનાં પાત્રોની સાથે તન્મય બની જાય, લડાઈના પ્રસંગે પોતાનું જ મોઢું લાલચોળ થાય ને લોહી ઊકળે, અને કરુણ પ્રસંગોની કરુણતા જ્યારે પોતે