“એક હતું વન. એમાં એક હતો આશ્રમ. એમાં એક ઋષિ રહે...”
અથવા તો આ પ્રમાણે કહેવી જોઈએ :–
“એક હતો બ્રાહ્મણનો છોકરો. એનું નામ સત્યકામ જાબાલ. એ એની મા સાથે રહેતો હતો. એને એકવાર બ્રહ્મવિદ્યા ભણવાનો વિચાર થયો...”
‘ડોશીમાની વાતો’માંથી ‘સોનબાઈની વાર્તા’ લઈએ, એને કથન યોગ્ય કરવા માટે તેમાં કેવા કેવા ફેરફાર કરવા પડે તે તપાસીએ.
સ્થળસંકોચને લીધે આખી વાર્તા તો નહિ લઈએ પણ તેના થોડાએક ફકરાઓને વાચનના વસ્તુમાંથી કથનનું વસ્તુ બનાવીને મૂકીએ.
સાત ભાઈઓ હતા. સાત ભાઈ વચ્ચે એક જ નાની બહેન. બહેનનું નામ સોનબાઈ.
સોનબાઈ એનાં માબાપની બહુ જ માનીતી. સાત ભાઈ પણ એના ઉપર પ્રાણ પાથરે. પણ સાત ભાભીઓથી સોનબાઈના લાડ ખમાતા નહોતા.
માબાપ ચાલ્યાં જાત્રા કરવા. દીકરાને બાપ કહે કે, “મારી સોનબાઈને સાચવજો હો ?” દીકરા કહે, “હો.” સાતે વહુઓને મા કહે કે, “મારી સોનબાઈને કોચવશો મા હો ?” સાતે વહુઓ છાનામાના દાંત ભીંસીને કહે કે, “હો !”
માબાપ ચાલ્યાં ગયાં. નાનો દીકરો સાથે ગયો. મેડી ઉપર બેઠી બેઠી સોનબાઈ ઢીંગલી શણગારતી હતી. શણગારતાં