પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૩૫

જ્યોત ઝગે
 


‘સાંભળ્યું, બટુકની બા? નરોત્તમ લખે છે, કે…’

રાતે વાળુપાણીથી પરવારીને, ઓતમચંદ પિત્તળની દીવી પેટવીને ઘરમાં નામુંઠામું ઉતારવા બેઠો હતો. એ જ વખતે લાડકોર, પટારો ઉઘાડીને દરદાગીના તથા કપડાંલત્તાં ફેંદી રહી હતી. દકુભાઈના બાલુનાં લગન આવતાં હોવાથી લાડકોર થોડા દિવસથી એની તૈયા૨ીઓમાં જ ગળાબૂડ રહેતી. અત્યારે પણ તે બાલુ માટેના દાગીનાના ઘાટ યોજવામાં એવી તો મશગૂલ હતી કે પતિએ નરોત્તમનો પત્ર આવ્યો હોવાની જે વાત કહી, એ એના કાન સુધી પહોંચવાને બદલે જાણે કે હવામાં જ ઊડી ગઈ.

‘સાંભળ્યું? નરોત્તમની મુંબઈથી ટપાલ છે…’ પત્ની બેધ્યાન છે, એમ સમજીને ઓતમચંદે ફરી વાર કહ્યું.

‘હં… હં… હા…’ કહીને લાડકોર ફરી કપડાં-દાગીના ફેંદવા લાગી.

ભોળુડી પત્ની પ્રત્યે પતિ સહાનુભૂતિયુક્ત સ્મિત વેરી રહ્યો.

ઓતમચંદે ફરી થોડી વાર નામું લખ્યા કર્યું અને પત્ની માનસિક રીતે આ પત્રની વાત સાંભળવા જેટલી સ્વસ્થતા દાખવે એની રાહ જોયા કરી. પછી સૂચક ટમકો મૂક્યો:

‘સાંભળ્યું ? આ નરોત્તમ તમને પગેલાગણ લખાવે છે—’

પણ પોતાના ભાઈને ઘેર લગનમાં જવાના અતિઉત્સાહમાં આ ત્રીજી વારનું કહેણ પણ લાડકોરે સાંભળ્યું-ન સાંભળ્યું કરી નાખ્યું અને સામેથી પૂછ્યું: ‘બાલુની વહુ સારુ બંગડી ઘડાવશું કે બાવડા-સાંકળી?’

જ્યોત ઝગે
૩૫૯