અનિષ્ટ માનવીઓ છે ?
નહિ, નહિ; રૂપ નથી, કુચેષ્ટા નથી, નખરાં નથી. સજ્જનતા નીતરે છે. છતાં તીણી ને ભયભીત નજરે બેઉ જણીઓ મકાનની બારીઓમાં શા સારુ ટાંપે છે ? કોને શોધે છે ? કોની ચોકી કરે છે ?
વખત જાય છે, સૂર્ય નમે છે, છાપખાનાનાં સંચા શાંત પડે છે, તેમ તેમ બેઉ જણીઓની વ્યાકૂલતા વધે છે, સાવધાની સતેજ બને છે, બેઉ મકાનની નજીક આવે છે.
કંઈક વાતો કરે છે :
“મા, એણે સંચો બંધ કર્યો. હવે મોં ધોવા જાય છે.”
“એ હવે કપડાં પહેર્યાં. ”
“મા, જલદી જો, પાછલે બારણેથી ન નીકળી જાય.”
“બેટા, માર મારે તો પણ છોડતી ના હો ! આજે જ પગાર મળ્યો છે એને.”
બન્ને ઓરતો જાણે કોઈ ચોરને ડાકુને પકડનારની પોલીસ બની ગઈ.
—ને ઘડીઆળના છ ટકોરા પૂરા થયે એ આદમી બહાર નીકળ્યો.
એની આાંખે ફરતાં કાળાં કુંડાળાં છે. એ કુંડાળાંમાં દારૂના કેટલા સીસાઓ ઠલવાયા હશે !
એ નાસતો હતો. દીકરી આડી ફરી : “નહિ બાપુ ! કદી નહિ બની શકે. ઘેર ચાલો.”