પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૩૫]


એનું પેટ પહોંચ્યું

માંડ માંડ કરીને અમરતે તરતો કરેલો પથ્થર પાંચ જ વર્ષમાં ડૂબી ગયો. અને તે પણ, તરાવતી વેળા જેણે સહાય કરી હતી એ માણસ ચતરભજને હાથે જ એ ડૂબ્યો.

પદ્મકાન્ત જતાં કુટુંબનો બાંધ્યો માળો પીંખાઈ ગયો. ચતરભજે ફૂંક મારીને, પત્તાંનો બનાવેલ આ એકદંડિયો જમીનદોસ્ત કરી નાખ્યો હતો.

છેલ્લી હોડ બકવામાં પણ અમરત હારી ગઈ હતી. પણ હાર્યા જુગારીની જેમ બમણું રમવાની અમરતમાં હવે તાકાત કે તમન્ના કશું રહ્યું નહોતું. ઊલટાની, અમરતની સ્થિતિ તો સહુ કરતાં દયામણી બની હતી. દલુ જેવો પેટનો દીકરો માની સામે ફરી બેઠો હતો. રિખવનું ખૂન કરનાર સંધીઓને ઉશ્કેરવામાં જીવણશા ઉપરાંત પોતાની માનો હાથ છે એમ જ્યારે દલુએ ઓધિયાને મોંએથી સાંભળ્યું ત્યારથી દલુનો પુણ્યપ્રકોપ પ્રજ્વળી ઊઠ્યો છે.

આજ દિવસ સુધી માવડિયો ગણાતો દલુ આજે મા સામે જ મોરચો માંડીને બેઠો છે. મા પ્રત્યે એને પારાવાર ઘૃણા ઊપજી છે.

‘મા, તને મારા ઉપર જરાય દયા હોય તો તારું કાળું મોંઢું મને કોઈ દી બતાવીશ માં.’

દલુને મોંએથી અમરતે આ વાક્ય સાંભળ્યું ત્યારે પહેલાં તો એ સાચું જ ન માની શકી કે દલુ જેવો કહ્યાગરો વિનયી છોકરો આવો અંતિમમાર્ગી બની શકે !

‘તું મારી મા છો એ જાણીને હું લાજી મરું છું.’