પૃષ્ઠ:Yugavandana.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંતરની આહ*
[ગાંધીજી ગોળમેજી પરિષદમાં જતા અટક્યા ત્યારે.]


મને સાગરપાર બોલાવી, ઓ બ્રિટન !
આદરભર્યા દઈ ઇજન,
બાંધવતા કેરાં બાંધીને બંધન –
આખર આજ મતિ બિગડી :
રૂડી શ્વેત ધજા રગદોળી રહી !
અયિ! અમૃત ચોઘડિયાં ગડિયાં,
ત્યારે કેમ હળાહળ ઘોળી રહી ?

મારા કોલ પળાવવા કારણીએ,
ખાંડ્યા ખેડૂતોને મેં તો ખાંડણીએ,
એનાં ધાન લીધાં કણીએ કણીએ,
'ખપી જાઓ, વીરા મારા, નેકીને ખાતર !'
- એમ ઘૂમ્યો વીનવી વીનવી,
ત્યારે, વાહ સુજાન ! ઇમાનદારી કેરી
વાત તારે તો નવી ને નવી !

હું 'સુલેહ! સુલેહ ! સુલેહ!' રટ્યો,
નવ નેકીને પંથેથી લેશ હટ્યો,
દિલે તારેથી તોયે ન દેશ મટ્યો.
તું 'ડરાવ! દબાવ ! રિબાવ !' વિના
બીજો દાવ એકેય શીખી જ નથી !
તુંને શું કહું માનવની જનની !
વશ થાય પશુ પણ વા'લપથી !

[*આ તેમજ પછીનાં ત્રણ ગીતોમાં ગાંધીજીના જુદા જુદા પ્રસંગોની મનોદશા કલ્પાયેલી છે.]
♣ યુગવંદના ♣
૩૨