બીરબલ વિનોદ/આન પડી હે

વિકિસ્રોતમાંથી
← હોડીનો પ્રબંધ બીરબલ વિનોદ
આન પડી હે
બદ્રનિઝામી–રાહતી
ખુશ કે નાખુશ  →


વાર્તા ૧૩૨.

આન પડી હે..

એક સમયે અકબર બાદશાહે ડાહી માના દીકરા-રાઓ (વાણીયા)ને વિનોદ ખાતર ચોકીદારીનું કાર્ય કર- વાની આજ્ઞા આપી. બીચારા બ્હીકણ વાણીયાઓના મનમાં ફાળ પડી. તેમણે એવો વિચાર કર્યો કે "આ વિષયમાં બીરબલ મહારાજની સલાહ લેવી જોઈયે.’

એ ઉપરથી આખી મહાજન બીરબલ પાસે હાઝર થઈ અને બધી હકીકત કહી સંભળાવી, કાંઈક રસ્તો બતાવવાની અરઝ કરી. બીરબલે થોડીકવાર વિચાર કરી કહ્યું “ તમે રાત્રે ચોકી કરવા નીકળો, ત્યારે પાઘડી પગોમાં અને પાજામો (સુરવાલ) માથે બાંધીને જજો અને 'ઑલવેલ" ને બદલે “આન પડી હે! આન પડી હે!” એમ પોકાર કરજો.”

સંયોગવશ એજ રાત્રે બાદશાહ વેષ બદલી નગર ચર્ચા નિહાળવા નીકળ્યો હતો, તેણે વાણીયાઓને કાંઈક વિચિત્ર પ્રકારનો સ્વાંગ ધારણ કરેલા જોઈ પૂછયું “ભાઈ ! આ તમે શું કર્યું છે?”

વાણીયા કહેવા લાગ્યા “ભાઈ બાદશાહની હઠ એવી જ છે કે, અમે ચોકીદારી કરીયે. પણ અમારા બાપદાદાઓએ પણ કયાં વાઘ માર્યો હતો કે બહાદુરીનું કામ કર્યું હતું, જે અમે આ કામ કરી શકીયે ? અને જો આ કાર્ય બજાવવા જેટલી અમારામાં હીંમત અને શક્તિ હોત તો પછી અમે વાણીયા કેમ કહેવાત?”

બાદશાહ સમજી ગયો કે આમાં પણ બીરબલને હાથ હોવો જોઈયે. બીજે દિવસે તેણે એ હુકમ રદ કર્યો અને તપાસ કરી તો બીરબલનું ચાતુર્ય ત્યાં પણ કામ કરતું માલુમ પડયું. બાદશાહે અત્યંત પ્રસન્ન થઈ ઘણું ઈનામ બીરબલને આપ્યું.