બીરબલ વિનોદ/એનું નામ તે મસ્ખરી!!(૨)

વિકિસ્રોતમાંથી
← હાથી કે ગવૈયો ?! બીરબલ વિનોદ
એનું નામ તે મસ્ખરી!!
બદ્રનિઝામી–રાહતી
ગપ્પીદાસનો ગપાગોળો →


વાર્તા ૯૩.

હાથી કે ગવૈયો?!

એક સમયે બાદશાહે લાડ અને કપુર નામના પ્રખ્યાત ગવૈયાઓના ગાયનથી બહુજ આનંદમાં આવી જઈ, વગર વિચાર્યે એ બીચારા ગરીબોને હાથી ઈનામમાં આપ્યો. બીચારા ગવૈયા ઈન્કાર ન કરી શક્યા અને હાથીને લઈ જઈ એક વર્ષ સુધી તો તેને ખવરાવી પીવરાવી રાખ્યો, પણ જ્યારે તેમની તીજોરીનું તળીયું દેખાયું, ત્યારે તેમને ભારે ફીકર પડી. તેમણે વિચાર કર્યો કે “જો એ બલાને થોડો વધુ વખત આપણે ત્યાં રાખીશું તો ઘસ્નાં છોકરાંને ઘંટી ચાટવાનો સમય આવશે.”પણ ત્યારે એનું કરવુંએ શું? એતો ન વહેચી શકાય કે ન વેચી શકાય તેમ જ રાખી પણ ન શકાય. આખરે લાડે એક યુક્તિ શોધી કાઢી પોતાના ભાઈને કહ્યું “ભાઈ ! હાથીની ડોકમાં ઢોલ અને તંબુરો વગેરે લટકાવી, છુટો મૂકી દેવાથી આપણો એ બલામાંથી છુટકારો થશે.”

કપૂરને પણ એ યુકિત પસંદ પડતાં હાથીના ગળામાં ઢોલ, તંબુરો લટકાવી તેને છોડી મૂક્યો. એટલે હાથી શહેરમાં ચારે તરફ ઘૂમવા અને યથેચ્છ તોફાન કરવા લાગ્યો. હાથીના તોફાનથી ત્રાસ પામી લોકોએ શાહ પાસે જઈ અરજી કરી કે “ જહાંપનાહ ! આપનો હાથી શહેરમાં છૂટો ફરે છે અને લોકોને ઘણોજ ત્રાસ પમાડે છે.” આ સાંભળી બાદશાહે સીપાહીઓને તે હાથી કોનો છે એ તપાસ કરવાની આજ્ઞા આપી.

સિપાહીઓએ તપાસ કરીને શાહને કહ્યું "નામદાર ! એ હાથી તો આપે લાડ અને કપૂરને આપ્યો હતો એજ છે.” બાદશાહે તરતજ લાડ, કપૂરને બોલાવી ધમકી આપતાં કહ્યું “કેમ તમે તમારા હાથીને છુટો મૂક્યો છે ?” બન્નેએ હાથ જોડી અરઝ કરી કે “જહાંપનાહ ! તેને બાર માસ સુધી ખાનપાનમાં ખુશ રાખી અમારો બધો હુન્નર શીખવી દીધો છે. તે પ્રવીણ થઈ ગયો એટલે તેને ઢોલ તંબુરો આપી રઝા આપી કે 'મુલક બાદશાહ સલામતનો છે, માટે તારી મોજમાં આવે ત્યાં ફરી ગાનતાનથી અમીર ઉમરાવના મન રાઝી કરી તારું ગુઝરાન ચલાવ અને અમને પણ તને જે યોગ્ય લાગે તે આપજે."

આ પ્રમાણેનું લાડનું બોલવું સાંભળી બાદશાહને બહુજ હસવું આવ્યું. તે એમની મતલબ સમજી ગયેલો હોવાથી તેણે હાથીને પકડી મંગાવી હાથીશાળામાં બંધાવ્યો અને લાડ, કપૂરને એક સારી પેદાશવાળું ગામ ઈનામ આપ્યું.