બીરબલ વિનોદ/રખપત અને રખાપત

વિકિસ્રોતમાંથી
← તંબાકુ ગધા નહીં ખાતા બીરબલ વિનોદ
રખપત અને રખાપત
બદ્રનિઝામી–રાહતી
ટાઢ કેટલી છે? →


વાર્તા ૪૮.

રખપત અને રખપાત.

એક દિવસ દરબારમાં બાદશાહે પૂછયું “પત્ત કેટલા છે એ કોઈ કહેશે?"

પંડિત જગન્નાથ બોલી ઉઠયા “ જહાંપનાહ ! પત પાંચ છે (૧) ઈન્દ્રપત (૨) સોનપત (૩) પાનીપત (૪) બલપત." સર્વેએ એ વાતને માન્ય રાખી, પણ બીરબલ ગુપચુપ બેસી રહ્યો. બાદશાહે તેના મૌનનું કારણ જાણી લઈ પૂછયું “કેમ, બીરબલ ! પત પાંચ ખરા કે નહીં? બીરબલે હાથ જોડી કહ્યું “જહાંપનાહ ! પત સાત હોય છતાં પાંચને ખરા કેમ કહી શકું? મારા ધારવા પ્રમાણે પંડિતજી ભૂલી ગયા હશે, નહીં તો ખરેખરા બે પત તો બાકી જ રહે છે!! ”

બાદશાહે પૂછયું “એ બે પત કયા ?” બીરબલ બોલ્યો “હઝૂર ! રખપત અને રખાપત.” બાદશાહે તેને ખુલાસો પૂછતાં તેણે કહ્યું “આલમપનાહ ! આ બે પતને આધારેજ ભલમનસાઈ પારખી શકાય છે. પોતાની પ્રતિષ્ઠા સ્હામાવાળાની પ્રતિષ્ટા રાખવાથી જ રહી શકે છે."

બધા દરબારીઓ અને ખુદ બાદશાહ બીરબલની બુદ્ધિને ધન્યવાદ આપવા લાગ્યા. પંડિતજીએ પણ પોતાની ભૂલ કબુલ કરી.