મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : તે માટે હિંદુઓને અણગમો

વિકિસ્રોતમાંથી
← અનુભવ બીજો : પાયખાના સાફ કરવાનું મારો જેલનો અનુભવ
અનુભવ બીજો: તે માટે હિંદીઓને અણગમો
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ બીજો : જોહાન્સબર્ગમાં બદલી →


તે માટે હિંદીઓને અણગમો.

મને તો એવા કામમાં ઇબારત છે જ નહિ. હું માનું છું કે એવું કામ કરવાની આપણે ટેવ પાડવી ઘટે છે. એવા કામની સામે આપણે ચીઢ રાખીએ છીએ તેને પરિણામે ઘણે ભાગે આપણા આંગણા તથા જાજરૂ વિગેરે આપણે ખરાબ સ્થિતિમાં જોઈએ છીએ. એટલુંજ નહિ પણ તેને લીધે મરકી વિગેરે રોગો આપણે પેદા કરીએ છીએ. જાજરૂ તો હંમેશાં ખરાબ જ હોય એમ આપણે માની બેઠા છીએ, અને ઘણી વેળા આપણે ગંદાઈનું તહોમત ભોગવીએ છીએ. એવી જાતનું કામ ન કરવાને માટે એક હિંદીને સોલીટરી સેલની એટલે કે ભોંયરામાં પૂરી રાખવાની સજા ભોગવવી પડી હતી. સજા ભોગવી તેની હરકત નથી ગણતો, પણ તે સજા ભોગવવાની જરૂર નહોતી, અને તેવા કામની આનકાની કરવામાં આપણે પાછા પડીએ એ ઠીક ન ગણાય. હવે જ્યારે હું તે કામ કરવાને સારૂ જવા લાગ્યો ત્યારે દરોગો બીજાઓને ટોકવા લાગ્યો, કે તેઓએ નીકળવું જોઇએ. આથી હુકમની વાત ફેલાઈ અને તરત મિ. ઉમર ઓસમાન તથા મિ. રૂસ્તમજી મદદે દોડ્યા, જો કે કામ બહુ ઓછું હતું. આ વાત લખવાનો હેતુ એ છે કે તેઓએ તેવું કામ સરકાર કરાવે તો કરવામાં માન માન્યું. જો આપણને મળતાં કામથી આપણે નારાજ રહીએ તો આપણાથી ખરી લડાઇમાં ભાગ ન લઇ શકાય.