મેરુ તો ડગે જેનાં મન ના ડગે

વિકિસ્રોતમાંથી
ગંગાસતીના ભજનો
મેરુ તો ડગે જેનાં મન ના ડગે
ગંગાસતી



મેરુ તો ડગે જેનાં મન ના ડગે

મેરુ તો ડગે જેનાં મન નવ ડગે, પાનબાઈ
મરને ભાંગી પડે બ્રહ્માંડજી;
વિપત્તિ પડે તોય વણસે નહીં;
સોઈ હરિજનનાં પ્રમાણજી.

ચિત્તની વૃતિ જેની સદા રહે નિર્મળી,
ને કરે નહીં કોઈની આશજી;
દાન દેવે પણ રહે અજાચી,
રાખે વચનમાં વિશ્વાસ જી – મેરુ.

હરખ ને શોકની આવે નહી હેડકી,
આઠે પહોર રહે આનંદજી,
નિત્ય રહે સત્સંગમાં ને
તોડે માયા કેરા ફંદજી – મેરુ.

તન મન ધન જેણે ગુરુને અર્પ્યાં,
તેનું નામ નિજારી નર ને નારજી,
એકાંતે બેસીને અલખ આરાધે તો,
અલખ પધારે એને દ્વારજી – મેરુ.


સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,
શીશ તો કર્યાં કુરબાન રે,
સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં,
જેણે મેલ્યાં અંતરનાં માન રે – મેરુ.

સંગત કરો તો એવાની કરજો,
જે ભજનમાં રહે ભરપુરજી,
ગંગા સતી એમ બોલિયાં, પાનબાઈ
જેનાં નેણોમાં વરસે ઝાઝાં નૂરજી – મેરુ.