યુગવંદના/કોણ ગાશે !

વિકિસ્રોતમાંથી
← ફૂલમાળ યુગવંદના
કોણ ગાશે !
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
શૌર્યવતીના વિલાપ →


કોણ ગાશે !
[છંદઃ સ્રગ્ધરા]


મા, તારી કોણ ગાશે
પલપલ ઇતિહાસે ભરી બારમાસી?
મેં તો શ્રદ્ધાવિહોણે
પ્રથમ મુહૂર્તે કીધી'તી ક્રૂર હાંસી :
આજે એ હાસ્ય મારાં
પૂજનફૂલ બની સર્વ પાછાં વળ્યાં છે;
આજે ગર્વ જનોનાં
મદછક વચનો અશ્રુધારે ગળ્યાં છે.
શી રીતે જાગિયો આ
અજગર સરખો સુપ્ત તોતિંગ દેશ?
કોની ફૂંકે રુઝાયા
દિલદિલ ભરિયા ક્લેશ-ધિક્કાર-દ્વેષ?
કોણે આ ભસ્મપુંજે
નવીન જીવનની ચેતના-છાંટ છાંટી?
મુર્દામાં પ્રાણ ફૂટ્યા :
મુલકમુલકની વિસ્મયે આંખ ફાટી !
કોનાં વીરત્વ ગાવાં? –
ઘર ઘર થકી જે કેદખાને દટાયા?
– કે લાઠીને પ્રહાર
અણડગ રહિયા જે ધરી પુષ્પકાયા?
ગાઉં કોના પતિને ?
શત દુઃખ સહતી કોણ સહચારિણીને?
કોને ગાઉં ન ગાઉં –
અગણિત મહીંથી એકને તારવીને?

કોનાં વીરત્વ ગાવાં?
નથી નથી નીરખ્યાં ખેતરો ભસ્મીભૂત;
દીઠાં ના ગામડાં, જ્યાં
અકથ પ્રલયલીલા રમ્યા કાળદૂત.
ભૂમિના બેટડાઓ !
શત શત સિતમો લ્હેરતી ઝીલનારા !
ત્રુટી - ફૂટી કવિતા
ક્યમ કરી કથશે શૌર્ય મૂંગાં તમારાં?
મા ! તેં રંગ રાખ્યોઃ
પ્રથમ વખત તેં મુક્તિનો સ્વાદ ચાખ્યો;
'બી ના ! બી ના !' પુકારી
નિજ શિશુજનને ભવ્ય પેગામ ભાખ્યો.
'તે સાધ્યું કાંઈયે ના !'
– કહી કદી અધીરો આપશે ક્રૂર મેણું ;
કે'જે પ્રત્યુત્તરે કે –
‘અભય બની પ્રજા : લૈશ હું સર્વ લેણું.'
જાગ્યો મારો વિરાટ :
અમીભર નયનો ઊઘડ્યાં – લોક જાગ્યો !
પૃથ્વીનું ઝેર પીને
અમર બની જતો, જો ત્રિપુરાર જાગ્યો !
જો, એની જાગૃતિને
સકળ જગપ્રજા ભવ્ય સન્માન આપે;
જો, એના વૈરીઓની
વિકલ ભ્રમદશા : બીકથી ગાત્ર કાંપે !
દૂર દૂર તથાપિ –
વિજય ગજવવાનું હજુ દૂર ટાણું,
પૂરું ઊગ્યું ન માનું
સકલભયહરા મુક્તિનું રમ્ય વ્હાણું.

ઓ મારા રંક પ્રાણ !
મદછક ન થજે? રાત પૂરી ન વીતી !
જોજે, હો માત મારી !
વિજય તણી સુરાપ્યાલી આજે ન પીતી !