રસધાર ૪/માણસિયો વાળો

વિકિસ્રોતમાંથી
← ખોળામાં ખાંભી સૌરાષ્ટ્રની રસધાર ૪
માણસિયો વાળો
ઝવેરચંદ મેઘાણી
માણસિયાનું મૃત્યુગીત →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


૧૮
માણસિયો વાળો

સોરઠના હૈયા ઉપર ભાદર વહે છે. સૂરજને અંજલિ છાંટતી જાણે કાઠિયાણી ચાલી જાય છે. કાળમીંઢ પથ્થર વચ્ચે થઈને સૂરજનાં કિરણોમાં ઝલક ઝલક વહેતો એનો મસ્ત પ્રવાહ કાળા રંગના મલીરમાં ઢંકાયેલા ચંપકવરણા દેહ જેવો દેખાય છે. એક ચારણે જીવતી ચારણીઓના મોહ છોડી એ ભાદરની સાથે વિવાહ કરવાનાં વ્રત લીધાં હતાં.* [૧]

એવી વંકી ભાદરની ભેખડ ઉપર ઊભો રહીને જેતપુરને માણસિયો વાળો સમળાઓની સાથે ક્રીડા કરી રહ્યો છે.

દયાધર્મના ધુરંધરો પારેવાંને ચણ નાખે, રૂપના આશકો મોરલા-પોપટને રમાડે, પણ માણસિયા વાળા દરબારને શોખ હતો : પોતે જમીને પછી સમળાઓને રોટલા ખવરાવવાનો.

દરબારગઢની પછવાડે જ ભાદરની ઊંચી ભેખડો છે. ત્યાં ઊભીને માણસિયો રોટલાનાં બટકાં ઉછાળે, ઉપર આભમાં ઘટાટોપ થર વળીને ઊડતી એ પંખિણીઓ અધ્ધરથી ને અધ્ધરથી એ બટકાં ઝીલી લે. પાંખો ફફડાવીને પોતાના પ્રીતમ ઉપર જાણે કે પંખા ઢોળે અને આભમાં ચકરચકર ફરીને કિળેળાટ કરતી સમળીઓ રાસડા લેતી લાગે.

માણસિયો વાળો નિર્વંશ છે. પિત્રાઈઓની આંખો એના ગરાસ ઉપર ચોંટી રહી છે. જેતપુરમાં જેતાણી અને વીરાણી પાટી વચ્ચે રોજરોજ કજિયા-તોફાનો ચાલ્યાં કરે છે. એવે જ ટાણે ગાયકવાડના રુક્કા લઈને અંગ્રેજોની પાદશાહી કાઠિયાવાડને કાંઠે ઊતરી પડી. એજન્સીના તંબૂની ખીલીઓ ખોડાવા મંડી. સોલ્જરોના ટોપકાંને માથે સોનેમઢ્યાં ટોપકાં સૂર્યના તેજમાં ચમકવા લાગ્યાં. લાંગ સાહેબ સોરઠનો સૂબો થઈને આવ્યો. કાઠિયાવાડને સતાવનાર લૂંટારાઓમાં માણસિયા વાળાનું નામ પણ લાંગની પાસે લેવાણું. લાંગે માણસિયા વાળાને તેડાવ્યો.

પોતાના ત્રણ મકરાણીઓને શસ્ત્રો સજાવીને માણસિયો વાળો રાજકોટમાં દાખલ થયો.

હમણાં પલટન વીંટળાઈ વળશે, હમણાં માણસિયાને હાથકડી નાખી દેશે, હમણાં એની જાગીર પિત્રાઈઓમાં વહેંચાઈ જશે — એવી અફવાઓ રાજકોટમાં ફેલાઈ ગઈ. સોલ્જરોના ઘોડા માણસિયા વાળાના ઉતારા આગળ ટહેલવા લાગ્યા. કીરચોના ઝણઝણાટ અને સોલ્જ્રોનાં બખતરની કડીઓના ખણખણાટ સંભળાવા માંડ્યા.

બીજી બાજુ, માણસિયાએ દાયરો ભરીને પોતાને ઉતારે કસુંબાની છોળો માંડી છે. સગાં-વહાલાં, ઓળખીતાં-પાળખીતાં, હેતુમિત્ર માણસિયા વાળાને રંગ દેતાં પ્યાલીઓ ગટગટાવે છે. જે ઘડીએ સોલ્જરોના થોકેથોક વળવા મંડ્યા, પલટનના ઘોડાઓના ડાબા સડક ઉપર ગાજવા લાગ્યા, તોપના રેંકડા દેખાવા શરૂ થયા, તે ઘડીએ દાયરો વીંખાવા મંડ્યો. કોઈ કહે, ‘છાશ પી આવું’, કોઈ કહે, ‘જંગલ જઈ આવું’, ને કોઈ કહે, ‘નાડાછડ કરી આવું’.

જોતજોતામાં એકે ઘરડું બૂઢું માનવી પણ ન રહ્યું. સહુને જીવતર વહાલું લાગ્યું. આપો માણસિયો હસવા લાગ્યો.

“કાં ભાઈ મકરાણીઓ !” આપા બોલ્યા, “તમારે કાંઈ કામેકાજે નથી જાવું? ઊઠો ને એક આંટો મારી આવો ને !”

“ગાળ મ કાઢ્ય, દરબાર, એવડી બધી ગાળ મ કાઢ્ય. હુકમ દે એટલે આખા રાજકોટને ફૂંકી મારીએ.”

ત્રણસો મકરાણી જંજાળ્યોમાં સીસાં ઠાંસીને બેઠા છે. પાણી પીવા પણ એકેય ઊઠતો નથી.

કલાક, બે કલાક, ત્રણ કલાક ! અને સોલ્જરો વીંખાવા મંડ્યા. તોપના રેંકડા પાછા વળ્યા, ઘોડાના ડાબા ગાજતા ગાજતા બંધ પડ્યા. અને થોડી વાર થઈ ત્યાં તો રાજકોટના ઠાકોર મેરામણજીની છડી પોકારાણી.

માણસિયો અને મેરામણજી એકબીજાને બથમાં ઘાલીને મળ્યા.

“આપા માણસિયા,” મેરામણજીએ મહેમાનની પીઠ થાબડીને કહ્યું, “સાહેબે રજા આપી છે, જેતપુર પધારો.”

“કાં મળવા બોલાવ્યો’તો ને સાહેબને મળ્યા વગર કાંઈ જવાય?”

“માણસિયાભાઈ, સાહેબને નવરાશ નથી. હું એને મળી આવ્યો છું. હવે સીધેસીધા જેતપુર સિધાવો.”

“ના ના, મેરામણભાઈ ! એમ તો નહિ બને. સાહેબને રામ રામ કરીને હાલ્યો જઈશ.”

“કાઠી ! હઠ કરો મા; સરકારનાં સેન સમદરનાં પાણી જેવાં છે, એનો પાર ન આવે.”

“અને, મેરામણજીભાઈ ! માણસિયાનેય સમદરમાં નાહવાની મોજ આવે છે, ખાડાખાબોચિયામાં ખૂબ નાયા.”

એટલું બોલીને માણસિયા વાળાએ લાંગની છાવણી પાસે થઈને પોતાની સવારી કાઢી.

એક દાણ હલ્લાં કરી લાંક સામાં બકી ઊઠ્યા,
ખેર ગિયાં લાંક, મોત નિશાણીકા ખેલ,
તીનસો મકરાણી ભેળા ચખ્ખાંચોળ મૂછાં તણી,
ઉબાણી વેગસુ આયા ઘરાંકુ આઠેલ.

અને

થાહ સમંદરાં આવે, આભ જમીં એક થાવે,
ફરી જાવે આંક તૂ૨ વિધાતાકા ફાલ,
માણસી જેતાણી મૃત્યકાળથી ઓઝપી જાવે,
(તો તો) પૃથ્વી પીઠ ઊંધા થાવે હો જાવે પેમાલ.

એવી રીતે માણસિયો વાળો જેતપુર આવ્યો.

*

છેવટે પિત્રાઈઓની અદાવત ફાવી. સગાં-વહાલાંઓએ જ એ સિંહને પાંજરે નખાવ્યો. ‘ગાંડો ! ગાંડો !’ કરીને પિત્રાઈઓએ માણસિયાને કાળા કોઠામાં કેદ કરાવ્યો. બંદીવાન ખાતો નથી, પીતો નથી, આસમાન સામે આંખ માંડીને બેઠો રહે છે.

ત્યાં તો “ક. . . ૨ . . . ૨ . . .ર . . .૨ . . . !” એ પ્રીતભર્યો સૂર એણે આભમાં ઊડતી સમળીની ચાંચમાંથી સાંભળ્યો.

“આવ ! આવ ! આવ !” એવા આપા માણસિયાએ આવકારા દીધા. સમળી પાંખો સંકેલીને નીચે ઊતરી, કોઠા ઉપર આંટા લેવા લાગી. આપાએ પોતાની ભેટમાંથી કટાર ખેંચી, પોતાના પગની પિંડી ઉપર ચીરો માર્યો, તરબૂચની ડાળી જેવું લાલ ચોસલું પોતાના દેહમાંથી વાઢીને આપાએ અધ્ધર ઉલાળ્યું. સમળીએ આનંદનો નાદ કરીને અધ્ધરથી એ ભજન ઝીલ્યું. બીજી સમળીએ ચીસ પાડી. બીજું ચોસલું માણસિયાએ પોતાની મસ્તાન જાંઘમાંથી વાઢીને ઉછાળ્યું. ત્રીજી આવી, ચોથી આવી, જોતજોતામાં તો સમળીઓના થર બંધાઈ ગયા; આપાને આનંદના હિલોળા છૂટ્યા. હસતો હસતો, પંખિણીઓને પ્યાર કરતો કરતો, આપો પોતાની કાયા વાઢતો ગયો અને આભમાં મિજબાની પીરસતો ગયો.

સાંજ પહેલાં એણે દેહ પાડી નાખ્યો. પિત્રાઈઓનાં મોઢાં શ્યામ બન્યાં.

માણસિયાની નનામી નીકળી છે. આભમાં સમળીઓનાં ટોળાં ઊડે છે. પોતાનો પ્રિયતમ જાણે કે શયનમંદિરમાં પોઢવા પધારે છે એમ સમજીને સમળીઓ નીચે ઊતરી, શબને વળગી પડી, પોઢેલા સ્વામીનાથને પંખા ઢળવા લાગી. લોકોએ વાંસડા મારી મારીને પંખીને અળગાં કર્યા.

ચિતાને આગ મેલાણી અને ચારણે મોઢું ઢાંકીને મરશિયા ઉપાડ્યાઃ

ગરવરનાં ગરજાણ, ઊડી આબૂ પર ગિયાં,
માંસનો ધ્રવતલ મેરાણ, ઢળિયો જેતાણ ધણી.

આજ ગિરનારનાં ગીધ પંખીઓ ઊડીને આબુ પહાડ ઉપર ચાલ્યાં ગયાં, કેમ કે એ પંખીડાને માંસથી તૃપ્ત કરનાર શૂરવીર તો ઢળી પડ્યો છે.

પંડ પર ઝાડી પસતોલ, ખાંભીનાં ભરવાં ખપર,
(તેં) કપાળુંમાં કોલ, માતાને આલેલ માણશી !

હે માણસિયા, તું આજ આ રીતે કેમ મૂઓ ? તેં તો તારા શરીર પર પિસ્તોલ મારીને લોહીથી દેવીનાં ખપ્પર ભરવાનો છૂપો કોલ દેવીને દીધો હતો !

ઉતાર્યાં આયર તણાં, ધડ માથાં ધારે,
તોરણ તરવારે, માંડવ વેસો માણસી !

તેં તલવારની ધાર વડે આહીરોનાં માથાં વાઢ્યાં હતાં, અને તલવારોનાં તોરણ બાંધીને જાણે કે તારા વિવાહ ઊજવ્યા હતા, હે માણસિયા !

નાળ્યુંના ધુબાકા નૈ, ધડ માથે ખગ-ધાર,
કાંઉ સણીએ સરદાર, મરણ તાહળું માણસી !



હે માણસિયા વાળા, આ શું કહેવાય? આવું શાંત મૃત્યુ તારે માટે સંભવે જ કેમ? તું મરે ત્યારે તો બંદૂકોના ભડાકા હોય અને તારા શરીરને માથે તલવારની ધાર ઝીંકાતી હોય; એને બદલે તું છાનામાનો શીદ મૂઓ, બાપ?

ગઢ રાજાણું ગામ, (જે દી) મેડે ચડી જોવા મળ્યું,
તે દી જેતપરા જામ, (તારે) મરવું હતું માણસી !

તારે તો તે દિવસે મરવું ઘટતું હતું જે દિવસે રાજકોટમાં તું લાંગ સાહેબને મળવા ગયો હતો અને તારાં શૌર્ય નિહાળવા આખા ગામનાં નર-નારીઓ માર્ગની બન્ને બાજુ મેડીએ ચડ્યાં હતાં.

ચે માથે શકત્યું તણા, પાંખાના પરહાર,
ભ્રખ લેવા આવી ભમે, માટી તારી માણસી !

તારી ચિતા ઉપર સમળીરૂપી શક્તિઓ આવીને પાંખના પ્રહાર કરે છે. તારા સરખા શુરવીરના માંસ ભક્ષ કરવા એ સુંદરીઓનાં છંદ વળ્યાં છે.:

[માણસિયાના મૃત્યુગીત માટે જુઓ પરિશિષ્ટ ૧ ]

  1. *પ૦-૬૦ વર્ષ પૂર્વે કમરહંસ નામના ચારણે પોતાની સ્ત્રીનું અવસાન થયા પછી બીજી સ્ત્રી પરણવાની ના પાડી હતી અને વિધિપૂર્વક ભાદર નદી સાથે વિવાહ ઊજવી, ધુમાડાબંધ ગામ જમાડ્યું હતું. એનો ત્રુટક દુહો પણ બોલાય છે કે:

    ભાદર જેસી ભામની કમરહંસ જેસો કંથ;
    હંસલી જેસી હોય (તો) કમરહંસ વિવા કરે.